મોટી કુંકાવાવમાં યુવક અને દામનગરમાં વૃદ્ધાએ ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકોના પરિવારજનોએ પોલીસમાં જાણ કરી હતી. મોટુ કુંકાવાવમાં રામપરા ચોકમાં રહેતા ચીમનભાઇ બાવચંદભાઇ રાંક (ઉ.વ.45)એ વડીયા પોલીસને જણાવ્યું હતું કે તેના દિકરા આર્યનભાઇ રાંક (ઉ.વ.20)થી મોબાઇલ તુટી ગયો હતો. આર્યને પિતા ખીજાશે અને ઠપકો આપશે તેવુ મનમાં લાગી આવતા 12 ફેબ્રુઆરીના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે ઘરે જ ગળાફાંસો ખાઇ લીધો હતો. જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. આ અંગે વડીયા પોલીસ મથકના એએસઆઈ બી.પી.ધાંધલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
બીજી તરફ દામનગરના નારાયણનગરમાં રહેતા કનુભાઇ ઉકાભાઇ રાઠોડ (ઉ વ.51)એ પોલીસને જણાવ્યું હતું કે ઉજીબેન ઉકાભાઇ રાઠોડ (ઉ.વ.80)ને કમર તથા પગનાં ગોઠણનો દુ:ખાવો રહેતો હતો. આ દુ:ખાવાથી કંટાળી જઇ ઉજીબેને 12 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે ઘરે જ જાતે ગળાફાંસો ખાઇ જતા મોત થયું હતું. આ અંગે દામનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ કે.આર.સાંખટ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
