જસદણના નવાગામે પરિવાર સાથે ખેત મજૂરી અર્થે આવેલી શ્રમિક પરિણીતાએ પાંચ દિવસ પૂર્વે ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના નવાગામે પ્રવીણભાઈની વાડીમાં ખેત મજૂરી કરતી શિવાનીબેન અખિલેશભાઈ વસુનીયા નામની 21 વર્ષની પરિણીતા પાંચ દિવસ પૂર્વે વાડીએ હતી ત્યારે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે જસદણ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં શિવાનીબેન વસુનિયા મૂળ મધ્ય પ્રદેશની વતની હતી અને તેણીને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં જૂનાગઢમાં આવેલા સિદ્ધાર્થનગરમાં રહેતા શૈલેષભાઈ જમનાદાસભાઈ માંડલીયા નામના 57 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે રાત્રીના સમયે બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આધેડને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં શૈલેષભાઈ માંડલીયા બે ભાઈમાં મોટા છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
