ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર, ‘આપ’ના 50 ઉમેદવાર રહ્યા, અન્ય પક્ષો પણ મેદાનમાં
વોર્ડ નં.7માં ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસે લીધેલો વાંધો રદ
જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી માટે શહેરના કુલ 16 વોર્ડની 64 બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે અને વિવિધ પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ 64 બેઠકો માટે કુલ 64 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા 62 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વોર્ડ નંબર પાંચ માં એક ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થયું છે, જ્યારે વોર્ડ નંબર 14 માં એક ઉમેદવારી પત્ર ઓછું ભરાયું છે. તે ઉપરાંત, આમ આદમી પાર્ટી દ્વારા કુલ 50 ઉમેદવારો મેદાનમાં છે. આપ દ્વારા મોટાભાઈ જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ તેઓના કેટલાક ઉમેદવારો ખસી ગયા છે, અથવા ફોર્મ પાછું ખેંચી લીધું છે, તેમજ કેટલાક વોર્ડ માટે ઉમેદવારો પણ મળ્યા નથી, અને હાલ 50 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
બહૂજન સમાજ પાર્ટી દ્વારા 15 ઉમેદવારો, સમાજવાદી પાર્ટી દ્વારા 5 ઉમેદવારો અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી (એ.આઈ.એમ.આઈ.એમ.) દ્વારા પણ 4 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે. આ સાથે જ 13 અપક્ષ ઉમેદવારો પણ પોતાની તક અજમાવી રહ્યા છે, જેના કારણે કેટલીક બેઠકો પર રસપ્રદ ત્રિકોણીય અથવા બહુ-કોણીય મુકાબલા સર્જાયા છે.
ચૂંટણીમાં વિવિધ પક્ષોની હાજરીને કારણે મતદારો સામે વિકલ્પો વધ્યા છે, અને પરિણામ અંગે અનિશ્ચિતતા પણ વધી છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક રાજકીય વિશ્ર્લેષકોના મતે, આ વખતે કેટલાક વોર્ડ માટે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી ખૂબ જ સ્પર્ધાત્મક બની રહી છે, અને કેટલાક ચોક્કસ વોર્ડ માં પરિણામો ચોંકાવનારા હોઈ શકે છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ નંબર 7 માં શીતલબેન અજયભાઈ વાઘેલા એ ઉમેદવારી કરી છે, જેમની ઉમેદવારી સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા વાંધો લેવામાં આવ્યો હતો. શીતલબેન વાઘેલા કે તેઓને ત્રણ સંતાનો છે, તે પ્રકારે વાંધો લઈ તેઓનું ઉમેદવારી પત્ર રદ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
ત્યારબાદ ઉમેદવાર દ્વારા તે બાબતના યોગ્ય પુરાવાઓ તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, અને આખરે તે માન્ય રાખીને તેઓનું ઉમેદવારી પત્ર માન્ય રહ્યું હતું. આ સમયે કોંગ્રેસ પાર્ટી તરફથી પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર પ્રમુખ દિગુભા જાડેજા તથા અન્ય અગ્રણીઓ અને એડવોકેટ વગેરે હાજર રહ્યા હતા. જયારે ભારતીય જનતા પાર્ટી વતી શહેર પ્રમુખ બીનાબેન કોઠારી તથા શહેર ભાજપના અન્ય અગ્રણીઓ વકીલો, વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને આ વાંધા અને દાવા પ્રત્યે બંને પક્ષે શાબ્દિક ઉગ્ર ચર્ચાઓ પણ થઈ હતી. આખરે તંત્ર એ તમામ પુરાવાઓ ચકાસ્યા બાદ ભાજપના ઉમેદવાર શીતલબેન વાઘેલાનું ઉમેદવારીપત્ર માન્ય રાખ્યું હતું. એક તબક્કે આ ઉગ્ર ચર્ચા નો વિડીયો પણ શહેરભરમાં વાયરલ થયો હતો.
વોર્ડ નંબર પાંચમાં કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો વચ્ચે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ના એક ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ રદ થતાં ચર્ચા જાગી છે.આ સમયે ભાજપ અને કોંગ્રેસ આગેવાન વચ્ચે ભારે જીભાજોડી થવા પામી હતી. જામનગર મહાનગરપાલિકા ના.16 વોર્ડ 64 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરાઈ ચૂક્યા છે .અને આજે ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન વોર્ડ નંબર પાંચ ના કોંગ્રેસના ઉમેદવાર ગિરિરાજસિંહ જેઠવા ન દ્વારા ભરાયેલ ફોર્મ માં ટેક્નિકલ ખામીઓ તથા મેન્ડેટ માં.સહીમાં તફાવત સામે આવતા ચૂંટણી અધિકારીઓએ તેને અમાન્ય જાહેર કર્યું હતું. જ્યારે કોંગ્રેસ દ્વારા અન્ય પક્ષના અન્ય કોઈ ઉમેદવાર માટે ડમી ફોર્મ ભરવામાં આવ્યું ન હતું આથી આ વોર્ડમા કુલ ચાર બેઠકો માંથી કોંગ્રેસના હવે ત્રણ ઉમેદવાર જ મેદાનમાં રહ્યા છે . જો કે અહીં આવડ માં આમ આદમી પાર્ટી સહિતના અન્ય કેટલાક ઉમેદવારો ચૂટણી મેદાનમાં છે . પરંતુ ભાજપ માટે આ વનમાં એક સીટ થોડી આસાન બની છે.
વોર્ડ નંબર 1માં આપના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી ભાજપને ટેકો આપ્યો
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વધુ એક રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. વોર્ડ નંબર 1માં ’આપ’ના ઉમેદવાર અનવરભાઈ સંઘારે ઉમેદવારી પરત ખેંચી, ભાજપને ટેકો જાહેર કર્યો છે. વર્તમાન ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવનાર અનવરભાઈ સંઘારે પોતાનું નામંકન પરત ખેંચી લીધું છે, અને જાહેરમાં ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ, અનવરભાઈ સંઘાર અગાઉ ભાજપ સાથે જોડાયેલા હતા, પરંતુ ત્યારબાદ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. હવે ચૂંટણી પહેલા જ તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચીને ફરી ભાજપને સમર્થન આપતા વોર્ડ નંબર 1ના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવ્યો છે.
