શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી શિશુમંગલ સંસ્થાની બે સગીરા ગુમ થવાના મામલામાં એકની ભોપાલ ખાતે ભાળ મળતા તેને જૂનાગઢ લાવવા પોલીસની ટીમ ભોપાલ રવાના થઇ છે. જ્યારે બીજી સગીરાની શોધખોળ વધુ સઘન કરી છે.
શહેરના ગાંધીગ્રામમાં આવેલ શિષ્યમંગલ સંસ્થામાં રહેતી 16 વર્ષીય મીરાલી હમીરભાઈ વાંક (રહે. પોરબંદર) અને 16 વર્ષીય ઇશિકા નીલેશભાઈ લાખાણી (રહે. જૂનાગઢ) નામની સગીરા ગત તા. 2 જુલાઈના રોજ સવારે સંસ્થાની દીવાલ કૂદીને નાસી ગઈ હતી. સંસ્થાના સીસીટીવી કેમેરામાં બંને સગીરા સવારના 7 વાગ્યાના અરસામાં એકસાથે બિલ્ડીંગની બહાર નીકળી સંસ્થાની દીવાલ કૂદીને ભાગતી નજરે પડી હતી.
સંસ્થાના ઇન્ચાર્જ અધિક્ષક દયાબેન ભરતભાઈ ગાલોલીયાની ફરિયાદ લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. પ્રારંભિક તપાસમાં બંને સગીરા જૂનાગઢથી વેરાવળ અને ત્યાંથી અમદાવાદની ટ્રેનમાં સુરેન્દ્રનગર પહોંચી હોવાનું સામે આવ્યું હતું.
દરમિયાન એક સગીરાની ભાળ ભોપાલ ખાતે મળતા પોલીસની એક ટીમ તેને જૂનાગઢ લાવવા ભોપાલ રવાના થઈ છે. જ્યારે બીજી સગીરાની ભાળ મેળવવા પોલીસે તપાસ સાથે શોધખોળ હાથ ધરી છે.
