શહેરના પુષ્કરધામ આવાસ કવાર્ટર પાસે રિસામણે ગયેલી પરિણીતાના સમાધાન માટે ભેગા થયા બાદ ડખ્ખો થતાં સાસરીયાઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.
જાણવા મળતી વિગત મુજબ પુષ્કરધામ નજીક આવેલા કેેવલમ્ આવાસ કવાર્ટરમાં રહેતા આકાશ અમરસીહભાઇ દરજી (ઉ.વ.26) નામના નેપાળી યુવાને યુનિ. પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના ભાઇના સાળા સુજલ ગણેશભાઇ આઉજી, વિહમ, સુજલના માતા નિર્મળાબેન અને સુજલના માસી રાધીકાબેનના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના ભાઇ અર્જુનની પત્ની અનુબેન છેલ્લા એક મહિનાથી રિસામણે હોય જેથી ગત રાત્રે સમાધાન માટે ભેગા થયા હતા.
દરમિયાન સમાધાનમાં ડખ્ખો થતાં આરોપી સુજલે છરી વડે ફરિયાદી ઉપર હૂમલો કર્યો હતો અને નિર્મલાબેન અને રાધીકાબેને ફરિયાદના માતા ચંદાબેનને ઢીકા પાટુનો માર માર્યો હતો. બાદમાં અન્ય લોકો ભેગા થઇ જતા આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છૂટયા હતા. આ હુમલામાં ઘવાયેલા માતા-પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
