શહેરની ભાગોળે ગોંડલ હાઈવે પર આવેલા કાંગશીયાળી ગામે રહેતી પટેલ પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, કાંગશીયાળી ગામની સીમમાં આવેલા રાધિકા હાઈટસ નામના બિલ્ડીંગમાં બ્લોક નં.એ-701માં રહેતી નેહલ હેપ્પીભાઈ મેનપરા (ઉ.27) નામની પરિણીતાએ ગત તા.9/3નાં રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે પ્રથમ ગીરીરાજ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેણીનું હોસ્પિટલના બીછાને મોત નિપજ્યું હતું.
આ અંગે લોધિકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક નેહલબેનને સંતાનમાં એક પુત્રી હોવાનું અને તેના પતિ બાંધકામ રોમટીરીયલ્સનું ધંધો કરતાં હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસમાં તેમણે ગૃહકલેશથી કંટાળી આ પગલું ભરી લીધાનું ખુલવા પામ્યું છે. આ બનાવથી એકની એક પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
