જસદણ તાલુકાના શિવરાજપુર ગામે રહેતી પરિણીતાએ માવતર જવાની જીદ સાથે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના શિવરાજપુર ગામે રહેતી કાજલબેન શિવરાજભાઈ ઝાપડિયા નામની 26 વર્ષની પરિણીતા પોતાની વાડીએ હતી ત્યારે રાત્રીના બારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં કાજલબેન ઝાપડીયાના આઠ વર્ષ પૂર્વે લગ્ન થયા છે અને તેણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે કાજલબેન ઝાપડીયાને માવતરના ઘેર આટો મારવા જવું હતું પરંતુ પતિએ સવારે જવાનું કહેતા કાજલબેન ઝાપડિયાને લાગી આવતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
