રવિવારે પોરબંદરના દેગામની હેતલ ગોરધનભાઈ જોષી (ઉ.વ.26)એ પોલીસ ભરતી માટે ફોર્મ ભર્યું હતું અને તેની દોડની પરીક્ષા રાજકોટના મવડી હેડ ક્વાર્ટર્સમાં હતી. અગાઉ પણ પીએસઆઇની પરીક્ષામાં સફળતાપૂર્વક પૂરી કરનાર હેતલ મેરિટને કારણે ફોજદાર બની શકી નહોતી. આ વખતે કોઈપણ ભોગે પીએસઆઈ બનવું જ છે તેવા મક્કમ ઇરાદા સાથે પૂરતી પ્રેક્ટિસ કરી હેતલ જોષી દોડ માટે શનિવારે રાત્રે રાજકોટ આવી પહોંચી હતી અને રવિવારે સવારે 6 વાગ્યે પોલીસ હેડ ક્વાર્ટર્સમાં દોડ માટે સજ્જ થઈ ગઈ હતી.
તમામ પરીક્ષાર્થીઓમાં હેતલને ટોકન નંબર એક ફાળવવામાં આવ્યો હતો.દોડ માટેનું ક્લેપ થતાં જ હેતલ સહિતના ઉમેદવારોએ દોટ મૂકી હતી.દોડતી વખતે અચાનક જ હેતલ જોષી નીચે પટકાઈ હતી અને 108 મારફત હોસ્પિટલમાં ખસેડાઈ હતી. હેતલ જોષીએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે,પોતે સાડા આઠ મિનિટમાં 1500 મીટરની દોડ પૂરી કરી ચૂકી હતી.તેની પાસે હજુ એક મિનિટનો સમય હતો અને માત્ર 100 મીટર જ દોડવાનું બાકી હતું ત્યારે ઝડપથી 100 મીટર પૂરું કરવા સ્પ્રિન્ટ લગાવતાં જ તે પડી ગઈ હતી અને ડાબા પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.દોડની પરીક્ષા જે સ્થળે હોય ત્યાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, 108ની ટીમ અને ફાયર બ્રિગેડના સ્ટાફની હાજરી ફરજિયાત કરવામાં આવી છે, પરંતુ હેતલ જોષી નામની પરીક્ષાર્થી જ્યારે અચાનક પટકાઈ ત્યારે 108 સ્થળ પર નહોતી.
આ તકે હેતલ જોષીનું કહેવું છે કે,જો તે સમયસર હોસ્પિટલે ન પહોંચત તો તેમની હાલત ગંભીર થઈ જાત અને આ ઘટનામાં તેઓ પોલિસ ભરતી બોર્ડને રજુઆત પણ કરશે.આવી ઘટનાથી તેણી ખૂબ જ હતાશ થઈ ગઈ હતી ત્યારે પોરબંદરથી રાજકોટ હોસ્પિટલમાં પહોંચી આવેલા તેમના પરિવારે સાંત્વના આપતા કહ્યું હતું કે,આ ઘટનાથી નિરાશ થવાનું ના હોય પરંતુ આવતી પોલીસ ભરતી માટે સ્વસ્થ થઈ વહેલી તૈયારી ચાલુ કરી દેવી જોઈએ.હેતલે જણાવ્યું કે મારી સહેલી વિશ્વા ત્રિવેદી અને અમે સાથે જ દોડતા હતા ત્યારે તેણીનું 8:49 મિનિટમાં ગ્રાઉન્ડ પૂર્ણ થયું હતું જો મારી સાથે આ ઘટના ન બનત તો હું પણ તેની સાથે આ ગ્રાઉન્ડ પૂર્ણ કરી લેત.હાલ તેમને પગમાં ઓપરેશન આવશે તેવું તબીબોએ જણાવ્યુ છે.હેતલ બે ભાઈ અને ચાર બહેનમાં ત્રીજા નંબરની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,સ્પર્ધાત્મક ભરતી કે પરીક્ષામાં કોઈ વ્યક્તિ નાપાસ થાય છે તો હતાશા આવે છે પરંતું કહેવાય છે ને પેઈન ઈઝ મેસેજ ફોર ચેન્જ. દર્દ એક સંદેશો છે કે કશુંક બદલવાની, બહેતર કરવાની જરૂૂર છે. ક્યાંક કોઈ વાત સુધારો કે સંભાળ માગે છે.જરાક સાવચેતી રાખવાની આવશ્યક્તા છે.માટે દર્દનો સ્વીકાર કરી એને પડકાર તરીકે લેવું પડે એનો તિરસ્કાર કરવાથી તો તકલીફ વધવાની છે,ઘટવાની નથી.
—
