પરીક્ષાનો ડર બાળકો પર ક્યારેક એટલી હદે અસર કરતો હોય કે ના બનવાનું બની જતુ હોય છે. ગોંડલમાં સહજાનંદનગર માં રહેતી ધો.10ની વિદ્યાર્થિની પરીક્ષાની ચિંતામાં મોડી રાત્રે ઘર છોડી નીકળી ગઈ હતી. જેથી પોલીસમાં દોડધામ થઈ ગઈ હતી. વિદ્યાર્થીની નાં પરિવારના સભ્યો બી. ડિવિઝન પોલીસ સ્ટેશને દોડી જઇ રજુઆત કરેલ કે, તેમની 14 વર્ષની દિકરી રાત્રીના આશરે એકાદ વાગ્યેના અરસામાં ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ છે. બનાવને ગંભીરતાથી લઈ પીઆઇ જે. પી. ગોસાઈના માર્ગદર્શન હેઠળ તુરંત પોલીસ સ્ટાફની અલગ- અલગ ટીમો બનાવી રવાના કરાઈ હતી.
પોલીસે પહેલા ઘરની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ચેક કર્યા હતા.તપાસ કરતા જાણવા મળેલ કે સગીરા પોતે જાતેથી તેના મકાનેથી નીકળી રેલ્વે સ્ટેશન તરફ ગયેલ છે. રેલ્વે સ્ટેશને સીસીટીવી કેમેરા જોઇ માણસોની પુછપરછ કરતા સગીરા રમાનાથ હોસ્પિટલ થઇ રાજકોટ બાજુના હાઇવે તરફ જતી જોવા મળી. હાઇવે પર પોલીસ ટિમોએ તપાસ કરતા આઇ.ટી.આઇ સામેની બાજુ આ સગીરા સુનમુન થઇને એકલી બેઠી હતી.
તુરંત તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ. તેનું કાઉન્સિલિંગ કરતા સગીરાએ જણાવેલ કે, ધોરણ – 10 માં બોર્ડની પરીક્ષા હોય જેની સતત ચિંતાના કારણે પોતે ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઈ હતી.સગીરવયની બાળાને સાંત્વના કેન્દ્રમાં મહીલા પોલીસે જરૂૂરી સાંત્વના આપી બાળકી તથા તેના માતા પિતાને આ બાબતે સમજાવેલ અને બાળકીનું તેના માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું. આ કામગીરી પીઆઇ જે.પી. ગોસાઈ, પીએસઆઈ વી.એન. જાડેજા, એ.એસ.આઇ. રમેશભાઇ, હેડ કોન્સ. મદનસિંહ, શકિતસિંહ, કોન્સ્ટેબલ ઓમદેવસિંહ, વનરાજસિંહ, સુરપાલસિંહ, માધવીબેન વિગેરે દ્વારા કરવામાં આવેલ હતી.
