શહેરની ભાગોળે જામગઢ ગામે રહેતી મહિલા માનસિક બિમારીના કારણે પાંચ દિવસ પહેલા ઘરેથી નીકળી ગઈ હતી. જેની આજે તેની જ વાડીના કુવામાંથી લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ તાલુકાના જામગઢ ગામે રહેતાં રેખાબેન કિશોરભાઈ ગોહેલ (ઉ.38) નામના મહિલાને માનસિક બિમારી હોય જેનાથી કંટાળી તેઓ ગત તા.15નાં રાત્રે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતાં. જેથી પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન આજે સવારે જામગઢ ગામની સીમમાં આવેલી તેમની વાડીના કુવામાંથી રેખાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી જરૂરી કાર્યવાહી કરી પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં તેમને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી હોવાનું અને પતિ ખેતી કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે બીજા બનાવમાં ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રહેતાં રોહિત હેમંતભાઈ ચૌહાણ (ઉ.22) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક એક બહેનનો એકનો એક નાનો ભાઈ હોવાનું અને તે અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
