ધ્રાંગધ્રાના કંકાવટી ગામે આવેલા હનુમાનજી મંદિર દિવાધુમ કરતી વખતે અકસ્માતે દાજી ગયેલા પુજારીનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ધ્રાંગધ્રાના કંકાવટી ગામે રહેતા હરીરામ ગોવિંદરામ સાધુ નામના 80 વર્ષના વૃધ્ધ ગત તા.8નાં રોજ સવારના સમયે ગામમાં આવેલા હનુમાનજીના મંદિરે રામ નામનું પનિયુ ઓઢી દીવા ધૂપ કરતાં હતાં ત્યારે અકસ્માતે રામ નામના પનિયા ઉપર અગરબતીનું તણખુ પડતાં પુજારી હરીરામ સાધુ દાજી ગયા હતાં. ગંભીર રીતે દાજી ગયેલા પૂજારીનું સારવારમાં મોત નિપજ્યું હતું. પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા ભારતનગરમાં રહેતાં ભરતભાઈ ઈશ્ર્વરભાઈ જાંબુકીયા (ઉ.32) પત્ની અને બાળકો સાથે લીંબડીના દેવપરા ગામે સાસરીયામાં વેકેશન કરવા ગયા હતાં. જ્યાં ચા બનાવતી વખતે ભરતભાઈ જાંબુકીયા અકસ્માતે દાજી ગયા હતાં. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
