નિર્દોષ નાગરિકોની હત્યાને કોઇ પણ રીતે અટકાવવા ભારતનો દ્રઢ આગ્રહ
ભારતે લેબનનમાં નાગરિકોના મોતના સમાચારો પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, તાજેતરની ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે અને તમામ પક્ષોએ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે ગઇકાલે નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ પર આયોજિત આંતર-મંત્રાલય બ્રીફિંગ દરમિયાન કહ્યું કે, ભારત, લેબનનમાં મોટી સંખ્યામાં નાગરિકોના મોતના અહેવાલોથી અત્યંત ચિંતિત છે. તેમણે કહ્યું કે, ભારત, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન UNIFILમાં સૈનિકોનું યોગદાન આપનારો દેશ છે અને લેબનનની શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે.
જાયસવાલે કહ્યું, “નાગરિકોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન અને દેશોની સાર્વભૌમત્વ તેમજ પ્રાદેશિક અખંડિતતાનું સન્માન અત્યંત આવશ્યક છે.” તેમણે એમ પણ જણાવ્યું કે, લેબનનમાં ભારતીય દૂતાવાસ ત્યાં રહી રહેલા ભારતીય સમુદાય સાથે સતત સંપર્કમાં છે અને તેમની સુરક્ષા પર નજર રાખી રહ્યું છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્તમાનમાં લેબનનમાં આશરે 1,000 ભારતીય નાગરિકો હાજર છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાનું યુદ્ધવિરામ લાગુ થયું છે અને શાંતિ વાર્તા શનિવારથી શરૂૂ થવાની છે. જોકે, ઇઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે, આ યુદ્ધવિરામ લેબનનમાં તેની સૈન્ય કાર્યવાહી પર લાગુ પડતો નથી.
