દ્વારકા આવેલા દર્શનાર્થીને ઠંડાપીણામાં ધતુરાનો પાઉડર ભેળવીને મૂર્છિત કર્યા બાદ લૂંટ ચલાવતી બેલડી ઝડપાઈ

દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે ફૂલડોલ ઉત્સવમાં દર્શનાર્થે આવેલા બે વ્યક્તિઓને ઠંડુ પીણું પીવડાવીને મૂર્છિત કર્યા બાદ સોનાના ઠોરીયા તેમજ રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી…

દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે ફૂલડોલ ઉત્સવમાં દર્શનાર્થે આવેલા બે વ્યક્તિઓને ઠંડુ પીણું પીવડાવીને મૂર્છિત કર્યા બાદ સોનાના ઠોરીયા તેમજ રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ શખ્સો સામે અગાઉ પણ પોલીસમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકામાં જામજોધપુર પંથકના રહીશ એવા કેટલાક પરિવારજનો હોળી-ધુળેટીના દિવસોમાં દર્શન માટે આવ્યા હતા.

ત્યારે આ પૈકીના બે વ્યક્તિઓને દૂર લઈ જઈ અને તેમને શેરડીના રસમાં ધતુરાનો પાઉડર ભેળવીને બેભાન કર્યા બાદ આ બંને વ્યક્તિઓએ પહેરેલા સોનાના ઠોરીયા તેમજ રોકડ રકમની લૂંટ કરવામાં આવતા આ અંગે દ્વારકા પોલીસે ગુનો નોંધી વિવિધ દિશાઓમાં તપાસ આરંભી હતી. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભી હતી.

આ કામગીરી દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા અને લાખાભાઈ પિંડારિયા સાથે મુકેશભાઈ કેસરિયાને ટેકનિકલ એનાલિસિસ બાદ મળેલી બાતમીના આધારે ખંભાળિયા નજીકના પોરબંદર હાઈવે માર્ગ પર રેલવે ફાટક નજીકથી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રહીશ કાળુ અમરસી વાઘેલા (દેવીપુજક) અને ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના માયધર ગામના હરેશ ઉર્ફે હકલો બાબુ માતાચોળીયા (દેવીપુજક) નામના બે શખ્સોને ઝડપી લઇ, જુદા જુદા સ્થળેથી ચોરી કરેલા રૂૂપિયા 3,05,000 ની કિંમતના છ નંગ ઠોરીયા, રૂૂ. 6,000 ની કિંમતના બે મોબાઈલ ફોન અને રૂૂ. 3,000 ની રોકડ રકમ મળી કુલ રૂૂ. 3,14,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ પછી વધુ તપાસ અર્થે આરોપીઓનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે.

પોલીસની વધુ તપાસમાં આરોપી કાળુ અમરસી વાઘેલા વિરુધ્ધ અગાઉ ભાવનગર, અમદાવાદ વિગેરે સ્થળોએ કુલ છ ગુના તેમજ હરેશ ઉર્ફે હકલો બાબુભાઈ સામે પણ અગાઉ ભાવનગર જિલ્લાના પાલીતાણા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. બી.જે. સરવૈયા, પી.એસ.આઈ. બી.એમ., મશરીભાઈ ભરવાડીયા, જેસલસિંહ જાડેજા, દિનેશભાઈ, અરજણભાઈ, દીપકભાઈ, હરપાલસિંહ, ગોવિંદભાઈ, લાખાભાઈ, મુકેશભાઈ, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *