હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી
મોરબીના રફાળેશ્વર પાસે આવેલા આંબેડકર નગરમાં રહેતા યુવકને તેમના જ મિત્રોએ કોઈ ધારદાર હથિયાર પેટના ભાગે મારતા લોહી લુહાણ થયેલા યુવાનને તુરંત મોરબી બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમનું મોત નીપજ્યું હતું.આ ઘટના હત્યામાં પલટાતા હોસ્પિટલ ચોકીના પોલીસ સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને આ બનાવમાં મૃતકના મિત્રોની સંડોવણી ખુલતા તેમની તપાસ શરૂૂ કરવામાં આવી છે.
વધુ વિગતો મુજબ, મોરબીના આંબેડકર નગરમાં રહેતા ભરત જગદીશભાઈ ચૌહાણ નામના 30 વર્ષનો યુવાન પોતાના વિસ્તારમાં આવેલી કૈલાશ નામની ફેક્ટરી પાસે રફાળેશ્વર વિસ્તારમાં હતો ત્યારે પ્રદીપ કોળી અને તેની સાથેના અજાણ્યા વ્યક્તિએ ધારદાર લાદીના કટકા વડે પેટના ભાગે ઇજા કરતા તે લોહી લુહાણ થયો હતો.તેમને તુરંત મોરબી સરકારી સિવિલ હોસ્પિટલ બાદ અહીં રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
આ ઘટના હત્યામાં પલટતા આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તુરંત મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.આ ઘટનામાં મૃતકના માતા દયાબેને જણાવ્યું હતું કે તેઓ આ ઘટના સમયે જામનગર રહેતી દીકરીને હોળીનો હારડો દેવા ગયા હતા અને ઘરે આવ્યા ત્યારે તેમને આ બનાવની જાણ થઈ હતી. હું તો ભરતના પિતા હયાત નથી અને તે બે ભાઈ અને એક બહેનમાં બીજા નંબરનો હતો અને પોતે માનસિક બીમાર હોય રખડતું ભટકતું જીવન જીવતો હતો. આ ઘટના મામલે હાલ મોરબી તાલુકા પોલીસના સ્ટાફે તપાસ શરૂૂ કરી છે.
