બાંગ્લાદેશે પોતાની જીદમાં આવીને ભારતની યજમાનીમાં રમાઈ રહેલા ટી20 વિશ્વકપનો બહિષ્કાર કર્યો છે. કટ્ટરપંથીઓની ભારત વિરોધી ભાવનાઓને સંતોષવા માટે ત્યાંની સરકારે ક્રિકેટ ટીમના સપનાનું બલિદાન આપી દીધું. આ નિર્ણયથી સૌથી વધુ નુકસાન બાંગ્લાદેશી ખેલાડીઓને થયું છે, જેઓ હવે પોતાની લાચારી વ્યક્ત કરી રહ્યા છે. બાંગ્લાદેશના સ્પોર્ટ્સ એડવાઈઝર આસિફ નઝરુલે જ્યારે આ બહિષ્કાર માટે ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા, ત્યારે ક્રિકેટરોનો ગુસ્સો અને દુ:ખ સામે આવ્યું હતું. બાંગ્લાદેશી અખબાર ‘ડેઇલી સ્ટાર’ સાથે વાત કરતા એક ખેલાડીએ નામ ન આપવાની શરતે કહ્યું, આ રમુજી (ફની) હતું.
તમે સાંભળ્યું જ હશે કે તેમણે શું કહ્યું? અમે લાચાર છીએ, આમાં અમારો કોઈ હાથ નથી. શરૂૂઆતમાં નઝરુલે કહ્યું હતું કે, ટી20 વર્લ્ડ કપમાં ન રમવાનો નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓ દ્વારા લેવામાં આવ્યો હતો. તેમણે દેશની ગરિમા અને સુરક્ષા માટે પોતાની કુરબાની આપી છે. આ નિવેદન બાદ ખેલાડીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો કારણ કે નિર્ણય સરકારનો હતો અને દોષ ખેલાડીઓ પર મઢવામાં આવ્યો હતો.
વર્લ્ડ કપમાં ન રમવાને કારણે બાંગ્લાદેશી ખેલાડીઓને મોટું આર્થિક નુકસાન થયું છે, સાથે જ તેમના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. હવે નઝરુલ ખેલાડીઓના વખાણ કરી રહ્યા છે કે તેમણે ‘રાષ્ટ્રીય સુરક્ષા’ માટે આ નિર્ણયનું સમર્થન કર્યું છે, પરંતુ હકીકત એ છે કે ખેલાડીઓ પાસે સરકારના આદેશ સામે બીજો કોઈ વિકલ્પ નહોતો.
