જામનગર મહાનગર પાલિકા દ્વારા કૃષ્ણનગર શેરી નં.3 માં ચાલી રહેલા સી.સી. રોડના કામમાં કોન્ટ્રાકટર દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કરી અત્યંત નબળું કામ થતું હોવાનું જાત નિરીક્ષણ દરમ્યાન જણાતાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા એ મ્યુનિ. કમિશનરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે. કોન્ટ્રાકટર સાથે મનપાના ઉચ્ચ અધિકારીની સંડોવણી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.
આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે અગાઉનો જુનો રોડ જે કરેલ છે તે કેટલો તોડેલ તેની કેટલી ઊંડાઈ હતી, કેટલી પહોળાઈ હતી, અને તે મુજબ જ કરેલ છે કે નહિ ? હાલ સી. સી. રોડ જે કરવામાં આવેલ છે. તેનું ખોદાણ 8 થી 9 ઈંચ એટલે કે આશરે 1 ફૂટ જેટલું ખોદાણ થયેલ હોય તેવુ જણાય છે. ટેન્ડરની શરત મુજબ ખોદાણ કરવામાં આવેલ ન હતું. મોરમ ગારા વારી હતી અને કાળી માટી મિકસ માં હતી.
સી.સી. રોડની પહોળાઈ ટેન્ડરની શરત મુજબ કરવામાં આવેલ ન હતી. સામાન્ય ખોદાણ કામ કરી, રેતી કાંકરી પાથરી સીધું જ સી. સી. રોડની કામગીરી કરતા હોય અને ટેન્ડરની તથા પેસિફિક શરતોનું પાલન કરેલ નથી. ટેન્ડરની શરતો મુજબ મેટલ-મોરમ કરેલ નથી. ટેન્ડરના નિયમ પ્રમાણે સાઈડ ઉપર કયુબના સેમ્પલ લીધેલા નથી. સી. સી. રોડ કામ ચાલુ કરતા પહેલા પાણીનું ફલોરિંગ કરેલ નથી. સી. સી. રોડનું ખોદાણ ઓછું હતું જેના હિસાબે રોડ ક્રેક તૂટી જવાની સંભાવના રહે છે. ટેન્ડરના નિયમ મુજબ 6-6 ઈંચ મેટલ-મોરમ વાપરેલ નથી. હાલમાં જે નવો રોડ બને છે જે જુના રોડથી 1 ઈંચ ઉચો રહેશે. જેથી ભવિષ્યમાં લોકોના ઘરોમાં પાણી ભરાવવાની સમસ્યા રહેશે.
આ મુદઓ ગંભીરતાથી લેવા કારણ કે આ સી. સી. રોડમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતી થયેલ છે તે અંગેનું તા. 23-1-2026ના કોન્ટ્રાકટર અને ઈન્જિનિયરની હાજરીમાં રોજકામ કરવામાં આવેલ છે. જેની નકલ રજુ છે. તે ધ્યાને લેવા તેમજ ગેરેંટી પીરીયડ સુધી આ રોડમાં કઈપણ થાય તો કોન્ટ્રાકટરના કોઈપણ પ્રકારના બીલ આપવા નહિ તેમજ તેની ડિપોઝીટ જપ્ત કરવી તેમજ બ્લેક લિસ્ટ કરવા અને સંડોવાયેલા અધિકારીઓ વિરૂૂદ્ધમાં કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ કામની સ્થળ મુલાકાતનો અહેવાલ નોબતમાં પ્રસિદ્ધ થતાં થોડા સમય માટે કામ બંધ કરી દીધા પછી ભ્રષ્ટાચારને છૂપાવવા રસ્તાનું કામ તાત્કાલિક પૂરૃં કરી દેવાના હવાતીયા ચાલુ થઈ ગયા હોવાનું જાણવા મળે છે.
