પ્રયાગરાજમાં ’મૌની અમાસ’ના પવિત્ર અવસરે જ્યોતિષપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ સાથે થયેલા કથિત દુર્વ્યવહારને લઈને આજે રાજકોટ જિલ્લા કલેકટરને સનાતન વૈદિક હિન્દુ પરમ ધર્મસંસદ 1008 દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે સાધુ-સંતો અને હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે જાહેર માફીની માંગણી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૌની અમાસના દિવસે શંકરાચાર્ય મહારાજ જ્યારે સ્નાન કરવા જઈ રહ્યા હતા, ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા તેમને અધવચ્ચે રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના અનુયાયીઓ સાથે ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ધક્કામુક્કી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. આ ઘટનામાં 40થી વધુ લોકો, જેમાં દંડી સ્વામીઓ અને વિદ્યાર્થીઓ સામેલ હતા, તેમને કોઈપણ જાણ કર્યા વગર અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
હિન્દુ સંગઠનોનું કહેવું છે કે કુંભ અને માઘ મેળામાં શંકરાચાર્યની પેશવાઈ અને પાલખી યાત્રા દ્વારા સ્નાન માટે જવાની પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે. પ્રશાસન દ્વારા શંકરાચાર્યનું છત્ર છીનવી લેવું અને તેમની સાથે એક સામાન્ય આરોપી જેવું વર્તન કરવું એ સનાતન ધર્મનું અપમાન છે. આ કૃત્ય રાજા સુધન્વાના સમયથી ચાલી આવતી પરંપરાઓ વિરુદ્ધ છે.
