મોરબી જિલ્લામાં જમીનોના ડોક્યુમેન્ટ્સમાં છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. લીલાપર કેનાલ રોડ પર દ્વારકાધીશ પેટ્રોલ પંપ ચલાવતા ફરિયાદીના આઈ.ડી. પ્રૂફ અને સહીનો ગેરઉપયોગ કરી, તેમની જાણ બહાર જમીન કે મિલકતનો બનાવટી સમજૂતી કરાર તૈયાર કરી લેવામાં આવ્યો હોવાની લેખિત અરજી પોલીસને કરવામાં આવી છે.
જે લેખિત અરજીમાં ફરિયાદી ચુનીલાલ છગનભાઈ પરમારે વર્ષ 2023માં કરમશીભાઈ પરમાર નામના વ્યક્તિ સાથે કાયદેસરનો એક કરાર કર્યો હતો. પરંતુ, તાજેતરમાં આરોપીના દીકરા મનસુખભાઈ પરમારે પેટ્રોલ પંપ પર આવીને એક બીજી નોટિસ અને નવો સમજૂતી કરાર આપ્યો હતો. 28 ઓક્ટોબર 2025ના રોજ જે નવો કરાર નોટરી સમક્ષ કરાયેલો બતાવાયો છે, તેમાં ફરિયાદીની કોઈ સહી જ નથી. ફરિયાદીનો આક્ષેપ છે કે આરોપીએ તેમના જૂના ડોક્યુમેન્ટ્સમાંથી આઈ.ડી. પ્રૂફ ચોરી કરી, ખોટી સહીઓ કરીને આ કૌભાંડ આચર્યું છે. આ મામલે ફરિયાદીએ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી છે કે તેઓ ક્યારેય ઉક્ત નોટરી સમક્ષ હાજર થયા નથી કે તેમણે કોઈ સહી કરી નથી. આ બનાવટી દસ્તાવેજમાં આરોપી કરમશીભાઈ પરમાર અને નોટરી સહદેવસિંહ જાડેજાની સંડોવણી હોવાનો આક્ષેપ કરીને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
