પોકસો એકટના ગુનામાં માત્ર ત્રણ વર્ષમાં મહત્વનો ચૂકાદો
પારિવારિક સંબંધોને કારણે ઘેર આવતી જતી સગીરાનું બદકામના ઇરાદે અપહરણ સહિતના ગુનાના ત્રણ વર્ષ પહેલાંના કેસમાં પરિણીત બાળકોના પિતા શખસને અદાલતે 10 વર્ષની કેદ અને દંડનો હુકમ ફરમ આવ્યો છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટમાં ગોવિંદનગર શેરી નં. 5, જુના એરપોર્ટની બાજુમાં, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા બાવાજી રાજેશગિરિ દિનેશગિરિ ગોસાઈ નામના પરીણીત શખસે પારિવારિક સંબંધોને કારણે ઘેર આવતી જતી સગીરાને તા.1/06/2022ના રોજ સવારના ભાગમાં લલચાવી ફોસલાવી મોરબી રોડથી ઉપાડી જઈ તેને જુનાગઢ મુકામે લઈ ગયેલ, ત્યાંની એક જગ્યાએ સગીરાને ચોવીસ કલાકથી વધુ ગોંધી રાખેલી.
આ બનાવમાં બાવાજી રાજેશગિરિ દિનેશગિરિ ગોસાઈ સામે બદકામના ઈરાદે સગીરાનું અપહરણ કર્યા સહિતના ગુનાની ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન આ કામે સગીરા પરત મળતા તેને તેની માતા-પિતાને સોંપવામાં આવેલી અને સગીરાનું નિવેદન લેવામાં આવેલુ અને તેમાંથી આરોપી તેને લલચાવી ફોસલાવી અને રાજકોટના ભાગોળે બોલાવી જુનાગઢ લઈ ગયાની હકીકત પોલીસ તપાસમાં આવેલી જે બાબતે પોલીસે સંપૂર્ણ તપાસ કરીને ચાર્જશીટ કર્યું હતું.
જે કેસ ચાલવા ઉપર આવતા સેશન્સ કોર્ટમાં ભોગ બનનાર સગીરા, તેના માતુશ્રી, સરકારી સાક્ષીઓ તપાસ કરનાર અધિકારીઓ વિગેરેને તપાસવામાં આવેલ અને ફરીયાદ પક્ષે હકીકત રેકર્ડ ઉપર લાવવામાં આવેલ સફળ થયેલ કે ભોગ બનનાર સગીરાનું આરોપીએ બદદાનતથી અપહરણ કર્યું હતું. તેમજ આરોપી પરિણીત હોવાનું અને તેને બાળકો પણ હોવાનું રેકર્ડ પર આવ્યું હતું. આમ આરોપી વિરુધ્ધનો સજજડ પુરાવો રેકર્ડ પર આવ્યાનું માની, ફરીયાદ પક્ષેથી થયેલ દલીલોને માન્ય રાખી અને સેશન્સ કોર્ટે આરોપી રાજેશગિરિ દીનેશગિરિ ગોસાઈને તકસીરવાર ઠેરવી અને તેને આઈ.પી.સી. કલમ-363ના. ગુન્હામાં 7 વર્ષ તથા 366ના ગુન્હામાં 10 વર્ષની સખત કેદની સજા ફટકારેલ છે અને રૂૂા. 20 હજારનો દંડ ફટકારેલ છે.
આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. મહેશકુમાર જોષીએ ચલાવી અને દલીલો કરી હતી.
