અગાઉ મારકૂટ કરતા શાપર પોલીસમાં અરજી કરી’તી: પુત્રએ પણ સામે અરજી કરી, વૃધ્ધાને સારવારમાં ખસેડાયા
શાપર-વેરાવળમાં રહેતા 80 વર્ષિય વૃધ્ધાને પુત્ર અને પુત્રવધુ મિલકત બાબતે ત્રાસ આપતા હોય જેથી કંટાળી વૃધ્ધાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં સર્વોદય સોસાયટી શેરી ન.14માં રહેતા કેશરબેન નથુભાઇ મકવાણા (ઉ.વ.80)નામના વૃધ્ધાએ આજે સવારે પોતાના ઘરે એસીડ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી શાપર-વેરાવળ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં કેશરબેનના પતિ નિવૃત્ત શિક્ષક છે. તેમને સંતાનમાં ત્રણ દીકરા અને એક દિકરી છે. મોટો દીકરો પ્રવિણ અને તેની પત્ની શાંનતાબેન મિલકત બાબતે ત્રાસ આપતા હોય અગાઉ પણ મારકૂટ કરી હતી. ત્યારે કેશરબેને પુત્ર અને પુત્રવધુ વિરૂધ્ધ શાપર પોલીસમાં અરજી કરી હતી.
બાદમાં પુત્ર પ્રવિણે પણ માતા વિરૂધ્ધ અરજી કરી હોય. આમ પુત્ર અને પુત્રવધુ મિલકત બાબતે ત્રાસ આપતા હોય જેથી કંટાળી વૃધ્ધાએ આ પગલું ભરી લીધાનું જણાવ્યુ હતું. આ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વૃદ્ધાનો પુત્ર પ્રવિણ પણ શિક્ષક હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે શિક્ષક હોવા છતાં માતાને મિલકત બાબતે ત્રાસ આપતો હોય આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
