કેશોદ તાલુકાના નોંઝણવાવના 35 વર્ષીય ચેતનાબેન નરેશભાઇ જાદવએ ગઈ તા. 29 ડિસેમ્બરના રોજ પોતાના ઘરે છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ મોતને કરી લીધું હતું.તે સમયે ચેતનાબેનને સીરસની બીમારી હતી. જેના કારણે શરીરમાં ખુબ જ ખંજવાળ આવતી હોય જેની દવા મેડિકલમાંથી લઇ આવતા હતા. સીરસ ઉપડે ત્યારે ખૂબ જ ખંજવાળ આવતી.
આખરે બીમારીથી કંટાળી જઇ ગળાફાંસો ખાધો હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું હતું.પરંતુ મૃતકના મૂળ જૂનાગઢ તાલુકાના ખડિયા ગામના અને હાલ રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર પાસે રહેતા માતા લક્ષ્મીબેન પીઠાભાઈ ચૌહાણે રવિવારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ચેતનાબેનના પતિ નરેશ કેશુભાઈ જાદવ, સસરા કેશભાઈ અમરાભાઇ, જેઠ દેવાયત, જેઠાણી ભાવુબેન, મોટા સસરાનો દીકરો સુરેશ ડાયાભાઈ જાદવ વિરુધ્ધ ફરિયાદ કરી હતી.ફરિયાદમાં લક્ષ્મીબેને જણાવ્યું હતું કે, ચેતનાબેનના લગ્ન નોંઝણવાવ ગામે મારા સગા ભાઈ કેશુભાઈ અમરાભાઇ જાદવના દીકરા નરેશ સાથે 15 વર્ષ પહેલા થયા હતા.
તેનાથી તેને સંતાનમાં 13 વર્ષની દીકરી અને 5 વર્ષનો દીકરો છે.પરંતુ ચેતનાબેન ઉર્ફે સોનલબેનને પતિ સહિતનાઓએ નાની નાની વાતોમાં સતત મેણા ટોણા મારી અને પતિ નરેશ માર મારી સતત માનસિક શારીરિક દુ:ખ ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા ચેતનાબેન ઉર્ફે સોનલબેને તા. 29 ડિસેમ્બરે પોતાના ઘરે નોંઝણવાવ ગામે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
