ભક્તિનગર રેલવે સ્ટેશનનો 26.80 કરોડના ખર્ચે થશે કાયાકલ્પ

અમૃત ભારત યોજના અંતર્ગત મળશે વિશ્ર્વસ્તરીય સુવિધાઓ : સ્ટેશનનું આધુનિકીકરણ મુસાફરો માટે વિશ્ર્વસ્તરીય પ્રવાસનો અનુભવ સુનિશ્ર્ચિત કરશે રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા માળખાગત…

અમૃત ભારત યોજના અંતર્ગત મળશે વિશ્ર્વસ્તરીય સુવિધાઓ : સ્ટેશનનું આધુનિકીકરણ મુસાફરો માટે વિશ્ર્વસ્તરીય પ્રવાસનો અનુભવ સુનિશ્ર્ચિત કરશે

રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા માળખાગત સુવિધાઓને મજબૂત કરવાની દિશામાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી રહી છે. ’અમૃત ભારત સ્ટેશન યોજના’ (ABSS) હેઠળ, રાજકોટ શહેરની મધ્યમાં આવેલ ભક્તિનગર સ્ટેશનનો વ્યાપક કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના પ્રમુખ ઔદ્યોગિક કેન્દ્રમાં સ્થિત હોવાને કારણે આ સ્ટેશન આ વિસ્તારની આર્થિક અને સામાજિક જીવાદોરી સમાન માનવામાં આવે છે.

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કુલ ₹26.80 કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે (સ્ટેશન વિકાસ માટે ₹11.81 કરોડ અને ફૂટ ઓવર બ્રિજ માટે ₹14.99 કરોડ). દરરોજ સરેરાશ 4,700 મુસાફરોની અવરજવર ધરાવતા આ સ્ટેશનનું આધુનિકીકરણ મુસાફરો માટે વિશ્વસ્તરીય પ્રવાસનો અનુભવ સુનિશ્ચિત કરશે. આ વિકાસથી માત્ર રેલવે પ્રવાસને પ્રોત્સાહન મળશે અને મુસાફરોની અવરજવરમાં વધારો થશે એટલું જ નહીં, પરંતુ બહેતર પરિવહન સુવિધાઓને કારણે સ્થાનિક અર્થતંત્રને પણ નવી ઊર્જા મળશે.

રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા અનુસાર: અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભક્તિનગર સ્ટેશનનો આ પુન:વિકાસ મુસાફરો માટે સુગમતા અને ગૌરવપૂર્ણ પ્રવાસનો નવો માપદંડ સ્થાપિત કરશે. સ્ટેશન પર ભીડ ઓછી થવાથી માત્ર સમયની બચત થશે એટલું જ નહીં, પરંતુ આધુનિક માહિતી પ્રણાલી અને બહેતર લાઈટિંગથી સુરક્ષાનું વાતાવરણ પણ મજબૂત થશે. વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ આ સ્ટેશન વડીલો, બાળકો અને દિવ્યાંગજનો માટે મુસાફરી વધુ સુલભ બનાવશે. આ સ્ટેશન રાજકોટ શહેર અને સૌરાષ્ટ્ર વિસ્તારના સામાજિક-આર્થિક વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે અને વધુમાં વધુ લોકોને રેલવે પ્રવાસ માટે પ્રોત્સાહિત કરશે.

ભક્તિનગર સ્ટેશન પર અત્યાર સુધી પૂર્ણ થયેલ કાર્યોની વિગત
* પ્લેટફોર્મ અપગ્રેડેશન: પ્લેટફોર્મ નંબર 1 પર કોટા સ્ટોન ફ્લોરિંગ અને પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3 પર વધારાના નવા કવર શેડ લગાવવામાં આવ્યા છે.
* વિશાળ માળખાગત સુવિધા: 8,600 ચોરસ ફૂટમાં સ્ટેશન બિલ્ડિંગનું અપગ્રેડેશન અને 2,760 ચોરસ ફૂટનો વિશાળ કોનકોર્સ હોલ.
* ભવ્ય સ્ટેશન બિલ્ડિંગ: એસીપી (ACP) ક્લેડિંગ સાથે સ્ટેશન બિલ્ડિંગને નવો લુક આપવામાં આવ્યો છે. સાથે જ સરળ ટ્રાફિક માટે અલગ-અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર બનાવવામાં આવ્યા છે.
* સુવિધાયુક્ત પ્રતિક્ષાલય: મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ વાતાનુકૂલિત (AC) વેઇટિંગ રૂમ, આધુનિક VIP રૂમ અને અદ્યતન સ્વચ્છતા સુવિધાઓ.
* હરિયાળું અને સુંદર સંકુલ: મુસાફરો માટે 25,685 ચોરસ ફૂટમાં વિસ્તૃત ગાર્ડન અને સર્ક્યુલેટિંગ એરિયામાં ટેન્સાઈલ રૂફ પોર્ચનું નિર્માણ. ફોર-વ્હીલર, ટુ-વ્હીલર અને દિવ્યાંગ મુસાફરો માટે બહેતર પાર્કિંગ વ્યવસ્થા.
* આધુનિક સાઈનેજ: આધુનિક સાઈનેજ અને વે-ફાઈન્ડિંગ સિસ્ટમ.
* પ્રકાશ અને વેન્ટિલેશન: બહેતર લાઈટિંગ અને વેન્ટિલેશનની વ્યવસ્થા.
* મોડ્યુલર શૌચાલય: મહિલા અને પુરુષ મુસાફરો માટે દિવ્યાંગજન-અનુકૂળ સુવિધાઓ ધરાવતા આધુનિક મોડ્યુલર શૌચાલયોનું નિર્માણ.
* જળ વ્યવસ્થાપન: અવિરત પાણી પુરવઠા માટે 1 લાખ લિટરની ક્ષમતાનો અંડરગ્રાઉન્ડ વોટર સંપ અને 50,000 લિટરની ઓવરહેડ RCC ટાંકી.
* દિવ્યાંગજન અનુકૂળ: સમગ્ર સ્ટેશન પરિસરમાં રેમ્પ, ટેક્ટાઈલ ટાઇલ્સ અને સમર્પિત પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભક્તિનગર સ્ટેશન પર હાલમાં ચાલી રહેલા કાર્યોની વિગત:
* ફૂટ ઓવર બ્રિજ અને લિફ્ટ: મુસાફરોની સરળ અવરજવર માટે 12 મીટર પહોળો મુખ્ય ઋઘઇ (રાજકોટ સાઈડ) નિર્માણાધીન છે, જે 4 આધુનિક લિફ્ટથી સજ્જ હશે.
* વધારાનો FOB: બીજો 3.66 મીટર પહોળો વધારાનો ફૂટ ઓવર બ્રિજ (વેરાવળ સાઈડ) નિર્માણાધીન છે, જે 2 આધુનિક લિફ્ટથી સજ્જ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *