ગઢડા (સ્વામીના) પંથકમાં દિવાળીના નવા દિવસોમાં અકસ્માતની ઘટના બનતા બે વ્યક્તિના મોતની ઘટનાથી દિવાળી રક્તરંજિત બનતા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ગઢડા થી 5 કિમી ના અંતરે આવેલા ઢસા રોડ સ્થિત રળિયાણા થી ગુંદાળા રોડ ઉપર વહેલી સવારે લકઝરી બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા બે વ્યક્તિના ઘટના સ્થળે કરૂૂણ મોત નીપજ્યા હતા. આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ગઢડાના માલપરા ગામે રહેતા મનસુખભાઈ જીવાભાઈ પાટડિયા (ઉં.વ. 60) અને બાબુભાઈ પ્રતાપભાઇ મકવાણા (ઉં. વ.53) સવારે 7-30 કલાકે પોતાનું બાઇક નં. જી.જે. 04 6039 લઈને રળિયાણા તરફ વાડીના કામથી જઇ રહ્યા હતા.
આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી બાપા સીતારામ ટ્રાવેલ્સ ની લક્ઝરી બસ નં. જી. જે. 1 બીઝેડ 9906 સાથે અકસ્માત થતા જોરદાર ટક્કર લાગતા બાઇક સાથે ફંગોળાઈ બંને બાઇક સવાર મનસુખભાઈ જીવાભાઈ પાટડિયા અને બાબુભાઈ પ્રતાપભાઇ મકવાણાને ઇજા થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મૃતક મનસુખભાઈ ના પુત્ર રોનકભાઈ મનસુખભાઈ પાટડિયાએ લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકો ગઢડાના માલપરા ગામના બાબુભાઈ પ્રતાપભાઈ મકવાણા અને મનસુખભાઈ પાટડીયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ગઢડા પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
