ગોંડલમાં વોરાકોટડા રોડ પર રહેતાં યુવાને પત્ની રિસામણે ચાલી જતાં ઝેરી દવા પી આપઘાતકરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં વોરાકોટડા રોડ પર રહેતાં ભગીરથ કિશોરભાઈ મારૂ (ઉ.33)એ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઈ બે બહેનમાં નાનો હતો અને તેનેં સંતાનમાં બે પુત્ર છે. પત્ની છેલ્લા 15 દિવસથી રિસામણે ચાલી જતાં આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીમાં રહેતા ચંદ્રીકાબેન પરશુરામભાઈ પરમાર (ઉ.65) પોતાના ઘરે હતાં ત્યારે એસિડ પી લીધું હતું. વૃધ્ધાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતાં. પ્રાથમિક પુછપરછમાં પતિ પરશુરામભાઈ અને પુત્રવધુ દિવ્યાબેન ટોચર કરી ત્રાસ આપતાં હોવાથી એસિડ પી લીધું હોવાનો ચંદ્રીકાબેને આક્ષેપ કર્યો છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
