જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં રહેતી લક્ષ્મીબેન ઉર્ફે લખીબેન છગનભાઈ રાઠોડ નામની 40 વર્ષની શ્રમિક યુવતીએ ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે ધૂતારપર ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા બાદ ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પતિ છગનભાઈ ભાજીભાઈ રાઠોડ એ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એ. રાઠોડ બનાવના સ્થળે તેમજ સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક લક્ષ્મીબેન, કે જેને પોતાના માવતરે આંટો દેવા જવું હતું, પરંતુ તેના પતિએ ના પાડી હતી. ઉપરાંત રાજકોટ મજૂરી કામ કરવા જવું હતું, તેની પણ પતિએ ના પાડી હોવાથી માઠું લાગી આવતાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જણાવાયું છે. સમગ્ર મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એ. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
