અંબાજી મેળામાં બે દિવસમાં 7.25 લાખ માંઇભક્તો ઉમટ્યા

270 સંઘોએ ધ્વજારોહણ કર્યુ, 2,77,750 મોહનથાળના અને 3712 ચીકીના પ્રસાદના પેકેટનું વિતરણ બીજા દિવસે 25,99,323 રોકડ અને 4.860 ગ્રામ સોનાની ભેટ ધરતા ભાવિકો ઉત્તર ગુજરાતના…

270 સંઘોએ ધ્વજારોહણ કર્યુ, 2,77,750 મોહનથાળના અને 3712 ચીકીના પ્રસાદના પેકેટનું વિતરણ

બીજા દિવસે 25,99,323 રોકડ અને 4.860 ગ્રામ સોનાની ભેટ ધરતા ભાવિકો

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આગામી 7 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ શક્તિ-ભક્તિ અને આસ્થાના મિની કુંભમાં દરરોજ લાખો માઈભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવશે. મહામેળાના પ્રથમ દિવસે 3.71 લાખથી વધુ ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કર્યા બાદ આજે બીજા દિવસે પણ ભક્તોનું માનવમહેરામણ ઉમટી પડ્યું હતુ. બીજા દિવસે 3,58,239 મળીને આ બે દિવસ દરમિયાન 7,29,450 શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યાં છે.

વહીવટી તંત્ર દ્વારા પણ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે માઈભક્તોને કોઈ અગવડ ના પડે, તે માટે વધુ સગવડ ગોઠવામાં આવી છે. આજે બીજા દિવસે ઉડન ખટોલા અર્થાત રોપવેમાં 8410 યાત્રિકો નોંધાયા છે. આમ બે દિવસ દરમિયાન કુલ 18,336 યાત્રિકોએ ગબ્બર સુધી પહોંચવા માટે રોપવે સેવાનો લાભ લીધો છે. જ્યારે બીજા દિવસે 49,136 જેટલા યાત્રાળુઓએ બસમાં પ્રવાસ કર્યો હતો.જેના માટે કુલ 1091 ટ્રિપો થઈ હતી. મેળાના બીજા દિવસે 270 જેટલા સંઘ અને માઈભક્તોએ ધજારોહણ કરી હતી.

જો પ્રસાદની વાત કરીએ તો, બીજા દિવસે 2,77,750 જેટલા મોહનથાળના પ્રસાદ તેમજ 3712 જેટલા ચીકીના પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ બીજા દિવસે 49 હજારથી વધુ ભાવિકોએ ભોજનાલયમાં પ્રસાદ આરોગ્યો છે. આવી જ રીતે બીજા દિવસે મંદિરના ભંડારામાં 25,99,323ની ભેટ આવી છે. તેમજ આજે 4.860 ગ્રામ સોનાની ભેટ પણ આવી છે.

કંટ્રોલરૂમ-CCTV સર્વેલન્સનું નિરીક્ષણ કરતા હર્ષ સંઘવી

ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાદરવી પૂનમ મહા મેળાના બીજા દિવસે અંબાજી પધાર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંબાજીમાં વિવિધ સેવાકેમ્પની મુલાકાત લઈ સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય કંટ્રોલ રૂૂમની પણ મુલાકાત લીધી હતી. તેમજ સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. AI ટેક્નોલોજીના સમન્વયથી અસામાજિક પ્રવૃત્તિઓ પર બાજ નજર અને મેળામાં દરેક યાત્રિક ભય વિના હરી ફરી શકે અને નિર્ભય બની દર્શન કરી શકે એ વ્યવસ્થાને બિરદાવી રાજ્ય સરકારે માઈ ભક્તો માટે કરેલી વ્યવસ્થાઓ અને આયોજન અંગે જણાવ્યું હતું. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યસભાના સાંસદ મયંક નાયકની સાથે અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *