ચુનારાવાડ અને સીતારામ સોસાયટીમાં ગૃહકલેશથી બે દંપતી વચ્ચે મારામારી
શિવાજીનગરમાં રહેતા આધેડ સાથે ભાડુઆતે ભાડુ નહીં ચુકવી મકાન ખાલી કરવા બદલે ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શિવાજીનગરમાં રહેતાં મનસુખભાઈ નાથાભાઈ બારૈયા નામના 54 વર્ષના આધેડ સાંજના સમયે દૂધસાગર રોડ પર આવેલ પોતાના બાલાજી પસ્તી ભંડારનાં ડેલામાં હતાં ત્યારે જીતો અને રમીબેન સહિતના ચાર શખ્સોએ લોખંડના વજનિયા વડે માર માર્યો હતો.
હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં હુમલાખોર શખ્સો ઈજાગ્રસ્ત આધેડના મકાનમાં ભાડે રહે છે. હુમલાખોર શખ્સોએ ભાડુ નહીં ચુકવી અને મકાન ખાલી કરવાના બદલે માલિક ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.અન્ય બનાવમાં ચુનારાવાડમાં રહેતાં વિનોદ દામોદર ત્રિલોક (ઉ.30) સાથે તેની પત્ની સુમીબેને ઝઘડો કરી ધારદાર હથિયાર વડે હાથમાં ઈજા પહોંચાડી હતી. જ્યારે બીજા બનાવમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલ સિતારામ સોસાયટીમાં રહેતી શંભુબેન સુધીરભાઈ યાદવ નામની 35 વર્ષની પરિણીતાને (ઉ.35)ને સુબોધ યાદવે વેલણ અને સાસણી વડે માર માર્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
