મામલતદાર કચેરીમાં ત્રણ દિવસથી કનેક્ટિવિટીના વાંકે લોકો પરેશાન
રાજકોટ શહેરના જૂની ક્લેક્ટર કચેરીમાં આવેલી મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ દિવસથી સર્વર ડાઉન હોવાના કારણે આવકના દાખલા કઢાવવા આવતા અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સર્વર નહિ ચાલતા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે, જેના કારણે તેમનો સમય અને પૈસા બંને વેડફાઈ રહ્યા છે.
આવકનો દાખલો એ એક અગત્યનો દસ્તાવેજ છે જે બાળકોના શાળા-કોલેજના પ્રવેશ, શૈક્ષણિક કાર્ય, અને હોસ્પિટલમાં દાખલ થવા જેવી અનેક જરૂૂરિયાતો માટે અનિવાર્ય છે. છેલ્લા ત્રણ દિવસથી સર્વર ડાઉનના કારણે આ દાખલા ન મળતા અરજદારો ચિંતિત બન્યા છે. ઘણા અરજદારો પોતાના ધંધા-રોજગાર છોડીને સવારથી કચેરીએ આવી રહ્યા છે, પરંતુ સર્વર ડાઉનના કારણે તેમને નિરાશ થઈને પાછા ફરવું પડે છે.
