જામનગર જિલ્લાના ધ્રોલમાં ગોદળીયા વાસ વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાની પત્ની સાથે ઝઘડો થવાથી મનમાં લાગી આવતાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત એવી છે કે ધ્રોલમાં ગોદળીયા વાસ વિસ્તારમાં રહેતા કમલેશ નાનજીભાઈ ગોદારીયા નામના 30 વર્ષના યુવાને આજે સવારે પોતાના ઘેર લાકડાની આડશમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ મહેશ નાનજીભાઈ ગોદારીયા એ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વધોરાએ બનાવના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનને પોતાની પત્ની વચ્ચે ઘણા સમય થી ઝઘડો ચાલતો હતો. ગઈકાલે પત્ની સાથે ઝઘડો થયા બાદ તેને મનમાં લાગી આવ્યું હતું, અને તેના કારણે આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કર્યું છે.
