રાજકોટની ગોંડલ ચોકડી નજીક આવેલી જમીન પર હેતુફેર વગર પ્રેમવતી રેસ્ટોરન્ટ ખડકાઈ ગયાની ફરિયાદ અંગેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તાલુકા મામલતદાર મકવાણા દ્વારા આ મામલે તપાસ કરીને એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
આ રિપોર્ટ પર અભ્યાસ કર્યા બાદ સિટી પ્રાંત દ્વારા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને તેનો અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ઔદ્યોગિક હેતુ માટે ફાળવવામાં આવેલી આ જમીનનો ઉપયોગ દર્શાવેલા હેતુથી વિપરીત રીતે કરવામાં આવ્યો છે.
મામલતદાર મકવાણાએ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ગોંડલ ચોકડી નજીક આવેલી પ્રેમવતી રેસ્ટોરન્ટનું બાંધકામ શરતભંગ થયું છે.હવે આ રિપોર્ટના આધારે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા ટૂંક સમયમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
