શહેરના ગંજીવાડામાં રહેતા મંડપ સર્વિસના ધંધાર્થીએ સંતકબીર રોડ પર કનકનગરમાં આવેલા મહારાણાપ્રતાપ હોલમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધાટ શરૂ કર્યો છે.
જાણવા મળતી વિગત મુજબ, ગંજીવાડા શેરી નં.57માં રહેતા અને ગંજીવાડામાં જ મોમાઈ મંડપ સર્વિસ નામે ધંધો કરતાં સંજય પાચાભાઈ વજકાણી (ઉ.32) નામના યુવાને આજે બપોરે સંતકબીર રોડ પર કનકનગરમાં આવેલા આર.એમ.સી.ના મહારાણાપ્રતાપ હોલમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ ત્રણ બહેનમાં નાનો અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસમાં કોર્પોરેશનના હોલમાં ચોકીદાર પણ રાખવામાં આવ્યો છે. જો કે આજે જ ચોકીદાર ન હોય અને મંડપ સર્વિસનો ધંધાર્થી તેના કામ અર્થે હોલમાં આવ્યા બાદ આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. તેણે આપઘાત શા માટે કરી લીધો તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
