ભગવતીપરાની ઘટના : ફાઇનાન્સમાં અને અન્ય લોન મેળવી રૂપિયા આપ્યા બાદ બંને ભાઇઓએ ઠગાઇ કર્યાનો આક્ષેપ
શહેરમા ભગવતીપરા વિસ્તારમા રહેતા સ્લુનના ધંધાર્થીએ બે મિત્ર બંધુને ફાઇનાન્સ અને અન્ય લોન કરી આશરે રૂપીયા 1 કરોડ આપ્યા હતા. જે રૂપીયા મિત્ર બંધુએ પરત નહી આપી છેતરપીંડી કર્યાનો આક્ષેપ સાથે પ્રૌઢે પોતાના જ સ્લુનમા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રૌઢને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા મેઇન રોડ પર રહેતા મનીષભાઇ જેન્તીભાઇ ભટ્ટી નામના 4પ વર્ષના પ્રૌઢ બપોરના બેએક વાગ્યાના અરસામા ભગવતીપરા મેઇન રોડ પર આવેલી પોતાની ઓમ સાંઇ સ્લુન નામની દુકાનમા હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા.
આ અંગે પ્રાથમીક પુછપરછમા મનીષભાઇ ભટ્ટી ઓમ સાંઇ સ્લુનના નામે વ્યવસાય કરે છે અને તેના મિત્ર સંજય જોષી અને તેના ભાઇ સુરેશ જોષીને રૂપીયાની જરૂરીયાત ઉભી થતા મનીષભાઇ ભટ્ટી ફાઇનાન્સમાથી 40 લાખ અને પોતાના નામે અન્ય લોનો લઇ મિત્ર સંજય જોષીને રૂપીયા 30 લાખ અને સુરેશભાઇ જોષીને રૂપીયા 70 લાખ આપ્યા હતા. જે રૂપીયા મિત્ર બંધુએ પરત નહી આપી છેતરપીંડી આચરતા મનીષભાઇ ભટ્ટીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ મનીષભાઇ ભટ્ટીના પુત્રએ જણાવ્યુ હતુ. આ અંગે બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.