સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા 700થી વધુ થેલેસેમિયા મેજર બાળકો હાલ ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા યોગ્ય સારવાર કે દવાઓ ન મળતા અંતે ’બડા બજરંગ ફાઉન્ડેશન’ સાથે મળીને બાળકો અને વાલીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી ન્યાયની માંગ કરી છે.
હાલમાં અપાતી ’દીપ ફાર્મા’ની દવા માફક ન આવતા બાળકોને વોમિટિંગ (ઉલ્ટી) થાય છે, જેની જગ્યાએ ’સન ફાર્મા’ની દવા આપવા માંગ કરી છે. ’કેલફર’ દવાનો સ્ટોક વારંવાર ખૂટી જતો હોવાથી બાળકોની સારવાર ખોરવાય છે.વધુ ફેરેટીન ધરાવતા બાળકો માટે અત્યંત જરૂૂરી એવા ’ડેસફરાલ’ ઇન્જેક્શન છેલ્લા 2.5 વર્ષથી સિવિલમાં ઉપલબ્ધ નથી.નિષ્ણાત ડોક્ટરનો અભાવ: 500થી 700 જેટલા દર્દીઓ સામે લોહીના રોગના નિષ્ણાત (હેમેટોલોજીસ્ટ) ડોક્ટર જ સિવિલમાં હાજર નથી.
“ગાંધીનગર જાવ અહીં કંઈ નહીં થાય” બાળકોએ આવેદનમાં આક્ષેપ કર્યો છે કે, આ સમસ્યાઓ અંગે જ્યારે સિવિલ સુપ્રિટેન્ડન્ટ મેડમને રજૂઆત કરવામાં આવી, ત્યારે તેમણે સંતોષકારક જવાબ આપવાને બદલે ટૂંકમાં કહી દીધું હતું કે, “ગાંધીનગર જાવ, અહીં કંઈ નહીં થાય.” હોસ્પિટલ તંત્રના આવા રૂૂખા વલણથી દર્દીઓના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ અને આસપાસના વિસ્તારોમાંથી આવતા 700થી વધુ બાળકોના જીવ જોખમમાં ન મુકાય તે માટે કલેક્ટર આ બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી આશા વાલીઓ રાખી રહ્યા છે.
