વિકસિત ભારત 2047ના સંકલ્પમાં સૌરાષ્ટ્ર-કચ્છ બનશે દેશનું ગ્રોથ એન્જિન: મંત્રી જીતુભાઈ વાઘાણી
15 જાન્યુઆરી સુધી યોજાનારા એક્ઝિબિશનનો વધુમાં વધુ લાભ લેવા ઔદ્યોગિક એકમો તથા નાગરિકોને અનુરોધ
સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો ન્યૂ એજ ટેક્નોલોજી ક્ષેત્રમાં રોકાણ કરીને આગળ વધે: કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું આહવાન
રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજીત બે દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કચ્છ અને સૌરાષ્ટ્ર’નું આજે સમાપન થયું. આ કોન્ફરન્સ દરમિયાન રૂૂપિયા 5.78 લાખ કરોડના રોકાણના 5492 સમજૂતિ કરાર થયા હોવાની જાહેરાત કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી હતી.
સમાપન સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન આપતા રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છને વિકસિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક નક્કર રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
તેમણે વાઇબ્રન્ટ ગુજરાતના ઐતિહાસિક પ્રવાસ અને સફળતાના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2003માં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન માત્ર રૂૂ. 66 હજાર કરોડના 80 એમ.ઓ.યુ. થયા હતા, તેની સામે આજે રાજકોટના આંગણે યોજાયેલી આ રિજનલ કોન્ફરન્સમાં જ રૂૂ. 5.78 લાખ કરોડના 5492 એમ.ઓ.યુ. સંપન્ન થયા છે. આ આંકડાઓ અને અનેક દેશોની સહભાગીતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પરનો અતૂટ ભરોસો દર્શાવે છે. આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેઇક ઇન ઇન્ડિયા જેવા આયામો વડાપ્રધાનના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યા છે, જેનો સીધો લાભ ગુજરાતના ઉદ્યોગપતિઓ અને એકમોને મળશે.
કોન્ફરન્સ દરમિયાન વિવિધ સેક્ટરોમાં થયેલી ઊંડાણપૂર્વકની ચર્ચાઓ ઉદ્યોગો માટે માર્ગદર્શક સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મંત્રીએ વધુમાં વધુ ઔદ્યોગિક એકમો અને નાગરિકોને આગામી તારીખ 15 જાન્યુઆરી સુધી આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અંતમાં, તેમણે આશા વ્યક્ત કરી હતી કે જ્યારે ભારત વિશ્વગુરૂૂના સ્થાને બિરાજશે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ તેના મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે ઊભરી આવશે.
આ તકે રાજ્યના પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ સૌરાષ્ટ્ર કચ્છની ક્ષમતાને વિશ્વ સમક્ષ ઉજાગર કરનાર મોટું પ્લેટફોર્મ બની છે. વિવિધ ઐતિહાસિક કિસ્સાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોની નસેનસમાં ઉદ્યોગ સાહસિકતા ભરેલી છે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પોરબંદર, દ્વારકા અને સોમનાથ બેલ્ટ દુનિયાનું સૌથી મોટું પ્રવાસન ક્ષેત્ર બનવા જઈ રહ્યું છે. દેશ અને રાજ્યમાં સેમી ક્ધડક્ટર ક્ષેત્રની પ્રગતિ અંગે કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય વર્ષ 2027માં સેમી ક્ધડક્ટર ક્ષેત્રનું હબ બનશે. આ તકે તેમણે કચ્છ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને ન્યૂ એજ ટેક્નોલોજી ક્ષેત્રમાં રોકાણ કરીને આગળ વધવા આહવાન કર્યું હતું.
ઉદ્યોગ સચિવ મમતા વર્માએ સ્વાગત પ્રવચનમાં સૌરાષ્ટ્ર કચ્છની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવતા કહ્યું હતું કે, છેલ્લાં બે દિવસમાં “સ્કેલ અને સ્કીલ”ના સમન્વય સાથે ઉદ્યોગ સાહસિકોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. બીટુબી, બીટુજી, રિવર્સ બાયર્સ સેલર્સ મિટ, 50થી વધુ સેમિનાર સહિતના આયોજન થકી યુવા પેઢીને પણ નવી દિશા મળી છે.
આ તકે ઉદ્યોગ કમિશનર પી.સ્વરૂૂપે પ્રેઝન્ટેશના માધ્યમથી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની સફળ યાત્રાની તલસ્પર્શી વિગતો રજૂ કરી હતી. મારવાડી યુનિવર્સિટીના સ્થાપક કેતન મારવાડીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સે સાબિત કર્યું છે કે ભારત આજે વિશ્વમંચ ઉપર નવી ઊંચાઈઓને આંબી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કોન્ફરન્સમાં 24 દેશના પ્રતિનિધિઓ અને 4000 ઉદ્યોગ સાહસિકોની ઉપસ્થિતિ એ ઐતિહાસિક ઉપલબ્ધિ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે Kutch Saurashtra : Anchoring Gujarat’s vision પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ અવસરે ઉત્તમ પ્રદર્શન કરનારા વિવિધ એમ.એસ.એમ.ઈ.ના ઉદ્યોગકારો, હસ્તકલા કારીગરો, ઉદ્યોગ વિભાગનું પુરસ્કાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું.
જ્યારે મારવાડી યુનિવર્સિટીના સંચાલકોનું આભાર સાથે બહુમાન કરાયું હતું. સમાપન સમારોહમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબહેન રંગાણી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, એલ. એન્ડ ટી.ના સી.ઈ.ઓ. સિદ્ધાર્થ ગુપ્તા, જ્યોતિ સી.એન.સી.ના ચેરમેન પરાક્રમસિંહ જાડેજા, મારવાડી યુનિ.ના કો-ફાઉન્ડર જીતુભાઈ ચંદારાણા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી.વૈષ્ણવ, અગ્રણી ઉદ્યોગકારો, વેપાર-ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
