જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં કોમર્શિયલ એકમો, દુકાનો અને ધંધા-સ્થળોની આસપાસ સ્વચ્છતા જાળવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ ન્યૂસન્સ નોટિસો આપ્યા છતાં ગંદકી દૂર ન કરનાર વેપારીઓ સામે કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના અંદાજે 2100 કોમર્શિયલ એકમો અને દુકાનદારોને ન્યૂસન્સ નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા દુકાન બહાર કચરો નાંખવો, ડસ્ટબિન ન રાખવો અને રાત્રે દુકાન બંધ કર્યા બાદ જાહેરમાં કચરો ફેંકવાની પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવતી હતી. તેના આધારે ફોટોગ્રાફિક પુરાવા એકત્ર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં 378 વેપારીઓ/દુકાનદારો પાસેથી કુલ રૂૂ. 2.28 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ તમામ વેપારીઓને અપીલ કરી છે કે તેઓ પોતાની દુકાન અને ધંધા-સ્થળની આસપાસ સ્વચ્છતા જાળવે, કચરો ડસ્ટબિનમાં જ રાખે અને મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શન વાહનમાં જ નિકાલ કરે, જેથી શહેરની સ્વચ્છતા અને જનઆરોગ્ય જળવાઈ રહે.
