ઈરાનમાં જાન્યુઆરીની શરૂૂઆતમાં થયેલા વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે સરકારી દળોએ કરેલી કાર્યવાહીમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વિરોધ પક્ષના પ્રભાવશાળી મીડિયા આઉટલેટ ’ઈરાન ઈન્ટરનેશનલ’ના જણાવ્યા અનુસાર, માત્ર 8 અને 9 જાન્યુઆરીના રોજ થયેલા દમનમાં 36,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાને આધુનિક ઇતિહાસનો સૌથી મોટો બે દિવસીય નાગરિક નરસંહાર ગણાવવામાં આવી રહ્યો છે.
અહેવાલ મુજબ, આ આંકડો ફિલ્ડ રિપોર્ટ્સ, તબીબી સ્ટાફ, પ્રત્યક્ષદર્શીઓ અને પીડિત પરિવારોના નિવેદનો તેમજ કેટલાક ક્લાસિફાઇડ (વર્ગીકૃત) દસ્તાવેજોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. ઈરાની સુરક્ષા દળો, ખાસ કરીને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને બસીજ મિલિશિયા પર આ હત્યાકાંડનો આરોપ મૂકવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ હિંસામાં ઈરાક અને સીરીયાથી લાવવામાં આવેલા ભાડૂતી લડવૈયાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જ્યારે એક તરફ દેશમાં આટલી મોટી જાનહાનિ થઈ છે, ત્યારે બીજી તરફ ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈ સુરક્ષાના કારણોસર અજ્ઞાત સ્થળે ખસી ગયા હોવાના અહેવાલ છે. વધતા આંતરરાષ્ટ્રીય દબાણ અને અમેરિકાના હુમલાના ભયને ધ્યાનમાં રાખીને ખામેનેઈ તેહરાનમાં એક અત્યંત સુરક્ષિત અંડરગ્રાઉન્ડ બંકરમાં ચાલ્યા ગયા હોવાનું માનવામાં આવે છે. તેમણે શાસનની કમાન તેમના ત્રીજા પુત્રને સોંપી હોવાની પણ ચર્ચાઓ છે.
