ભવનાથ તળેટી હર હર મહાદેવના નાદથી સતત ગુંજતી રહી, છેલ્લા બે દિવસમાં જ 16 લાખ ભાવિકો ઉમટી પડતા તમામ વ્યવસ્થાઓ ટૂંકી પડી
જૂનાગઢમાં ચાલુ વર્ષે યોજાયેલ મીનીકુંભ સભા પાંચ દિવસના મહાશિવરાત્રીનાં મેળામાં ભાવિકોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વર્ષે આ મહામેળામાં અધધધ કહી શકાય તેટલા 25 લાખ ભાવિકો ઉમટી પડતા નવો રેકોર્ડ સ્થપાયો છે.
ભવનાથમાં શિવરાત્રીનો મહામેળો શરૂ થયો તેના પ્રથમ દિવસે જ બે લાખ, બીજા દિવસે 4 લાખ, ત્રીજા દિવસે પણ 4 થી 5 લાખ, ચોથા દિવસે 7 લાખ અને અંતિમ દિવસે સાધુ સંતોની રવેડીના દર્શન માટે 9 લાખ ભાવિકો ઉમટી પડતા તમામ વ્યવસ્થાઓ ટૂંકી પડી હતી અને સમગ્ર ભવનાથ તળેટી હર હર મહાદેવના નાદથી સતત ગુંજતી રહી હતી અને મિનીકુંભ જેવો માહોલ સર્જાયો હતો.
સાધુસંતોની રવેડીના પ્રસ્થાન પહેલા ઈન્દ્રભારતી બાપુએ શરીરે ભસ્મ ચોળી માથે ફૂલમાળા પહેરી ભવનાથ મંદિરમાં આરતી ઉતારી હતી. વહીવટી તંત્ર , કલેકટર, એસપી, કમિશનર, પ્રાંત અધિકારી ઈન્દ્રભારતી બાપુ, સંપૂર્ણાનંદ બાપુ સહિતના સાધુ સંતોએ મૃગી કુંડની આરતી ઉતારી હતી.
મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળતી શાહી રવેડી આ મેળાનું મુખ્ય આકર્ષણ છે. જગદગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ અને વિવિધ અખાડાઓના મહા મંડલેશ્વરોની આગેવાનીમાં નાગા સાધુઓની ભવ્ય રવેડીનો પ્રારંભ થયો હતો.રવેડીમાં નીકળેલા નાગા સાધુઓએ અંગ કસરતના દાવો અને તલવારબાજી તેમજ લાઠીદાવના કરતબો બતાવી શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કર્યા હતા. શંખનાદ, ડમરુ અને ભજનની રમઝટ સાથે નીકળેલી આ રવેડી ભવનાથના મુખ્ય માર્ગો પર ફરી હતી. રવેડીમાં નાગા સાધુઓની સાથે વિદેશી ઝૂમી ઉઠ્યા હતા.
રવેડી ભ્રમણ બાદ મધ્યરાત્રિના ટકોરે તમામ સાધુ-સંતો પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યુ હતું. મૃગીકુંડ વિશે વર્ષો જૂની પૌરાણિક માન્યતા છે કે-આ કુંડમાં સ્નાન કરવા માટે સ્વયં ભગવાન ભોળાનાથ અદ્રશ્ય સ્વરૂૂપે પધારે છે. માન્યતા એવી પણ છે કે સ્નાન દરમિયાન અમુક સિદ્ધ સાધુઓ કુંડમાં ડૂબકી મારે છે પરંતુ બહાર આવતા દેખાતા નથી, જેઓ સીધા જ ગિરનારની ગુફાઓમાં અદ્રશ્ય થઈ જતા હોય છે. આ શાહી સ્નાન બાદ ભગવાન ભવનાથની મહાપૂજા અને મહાઆરતી કરવામાં આવી હતી અને જેની સાથે જ પાંચ દિવસીય મેળાની વિધિવત પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી.
ચાલુ જમણવારે સિંહની રોયલ એન્ટ્રી થતાં નાસભાગ
ગીરનારની ગોદમાં પ્લાસવા પાર્ટી પ્લોટમાં સિંહની ગર્જના
જૂનાગઢ શહેરમાં આ વખતે સિંહોએ સીધી જ એક ભોજન સમારંભમાં હાજરી આપી હતી. સિંહોની ગર્જના અને હાજરીથી આખા પ્લોટમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરમાં અવારનવાર સિંહો રહેણાંક વિસ્તારોમાં જોવા મળે છે, પરંતુ આ વખતે સિંહોએ સીધી જ એક ભોજન સમારંભમાં હાજરી આપી હતી. જૂનાગઢના પ્લાસવા પાટી પ્લોટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જ્યારે મહેમાનો જમી રહ્યા હતા, ત્યારે અચાનક બે વનરાજ ત્યાં આવી ચડ્યા હતા. ભોજન પીરસાઈ રહ્યું હતું તે જ સમયે સિંહોની ગર્જના અને હાજરીથી આખા પ્લોટમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જમતા મહેમાનો પોતાની પ્લેટો મૂકીને સુરક્ષિત જગ્યાએ ભાગવા લાગ્યા હતા. સિંહો આરામથી જમણવારની જગ્યાએ આંટાફેરા મારતા કેમેરામાં કેદ થયા હતા.
