36 પૈકી 20 પોઇન્ટ પર સંચાલન, ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ
મોરબીમા ટ્રાફિક પોલીસની સહાયતા માટે માત્ર 37 ટ્રાફિક બ્રિગેડ ઉપલબ્ધ છે. જેથી શહેરના 36 પૈકી 20 પોઇન્ટ ઉપર જ ટ્રાફિક પોલીસ નિયમિત ફરજ બજાવી શકે છે. જો કે, મોરબીમાં ટ્રાફિક સમસ્યા ઘણા વર્ષથી છે પરંતુ અધિકારીઓ ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકતા નથી જેના કારણે લોકોના પૈસા અને સમયનો વ્યય થઇ રહ્યો છે. હાલમાં શહેરના સામકાંઠે ત્રાજપર ચોકડીથી લઈ શનાળા ગામ પાસે આવેલ રાજપર ચોકડી સુધી , શનાળા બાયપાસથી લઈ નવલખી ઓવરબ્રિજ, લીલાપર કેનાલ રોડ પર એસપી ચોકડીથી ઉમિયા સર્કલ સુધી અને નવલખી રોડ, સ્ટેશન રોડ, અયોધ્યા પુરી રોડ સહિતના રોડ ઉપર સતત ટ્રાફિક સમસ્યાને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.ખાસ કરીને મોરબીની મુખ્ય બજારો પણ અત્યંત સાંકડી હોય દિવસે તો ઠીક રાત્રીના સમયે પણ લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળતી નથી.
મોરબી શહેરમાં (1) શનાળા-રાજપર ચોકડી (2) ભક્તિનગર સર્કલ (3) દલવાડી સર્કલ (4) વર્ધમાન ચોકડી (5) એસ.પી. રોડ ચોકડી (6) બાપા સીતારામ ચોક (7) સરદાર બાગ (8) રામ ચોક (9) ગાંધી ચોક (10) શાક માર્કેટ ચોક (11) શિવાની સીઝન પાસે (નવાડેલા રોડ ) (12) નવયુગ ગારમેન્ટ પાસે (13) ભોજાબાપા સર્કલ (રેલ્વે સ્ટેશન) (14) લખધીર ગેટ ચોકી (15) કુબેર સિનેમા (16) સેન્ટમેરી ફાટક એમ કુલ 16 ટ્રાફિક પોઇન્ટ એવા છે જ્યા ટ્રાફિક પોલીસ નથી હોતી, કેટલાક પોઇન્ટ ઉપર એવા છે જ્યાં માત્ર ટીઆરબી જ ફરજ ઉપર હોય છે.
