રાજ્યમાં આગામી રવિવારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના તમામ પરીક્ષાર્થીઓ માટે રાજકોટ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 84 જેટલા પરીક્ષા કેન્દ્રો પર કુલ 15,000 જેટલા ઉમેદવારો પોતાની કસોટી આપશે.
મુખ્ય પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. પ્રથમ પેપર સવારે 10:30 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી અને બીજું પેપર બપોરે 3:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી યોજાશે. બંને પેપર 100 ગુણના રહેશે.પરીક્ષાની પારદર્શિતા અને ગોપનીયતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પરીક્ષા માટેના પ્રશ્નપત્રો શનિવારે જ સીલબંધ હાલતમાં રાજકોટ પહોંચી જશે અને તેને સ્ટ્રોંગ રૂૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવશે.
રાજકોટના તમામ 84 કેન્દ્રો પર સીસીટીવી કેમેરાનું સુપરવિઝન અને વર્ગખંડોમાં નિરીક્ષકોની તૈનાતી સાથે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેથી ઉમેદવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે.પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે તમામ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી સર્વેલન્સથી સજ્જ કરવામાં આવ્યા છે. ઉપરાંત પેપરના પરિવહન દરમિયાન પોલીસ બંદોબસ્ત, વાહનોમાં જીપીએસ ટ્રેકિંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક કેન્દ્ર પર શિક્ષણ વિભાગ સિવાયના ઓબ્ઝર્વરની નિમણૂક જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે, જ્યારે રાજ્ય સરકારે દરેક ઝોન માટે ડેપ્યુટી ડાયરેક્ટર કક્ષાના અધિકારીઓને પણ દેખરેખની જવાબદારી સોંપી છે.
