રાજકોટમાં વડાપ્રધાન મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ગઇકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જીવન સંઘર્ષ અને યથોગાથા રજુ કરતો ભવ્ય મલ્ટી મીડિયા મ્યુઝિકલ શો ‘નમોત્સવ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ સમર્થિત સંસ્થાઓ આયોજિત નમોત્સવમાં 150 જેટલા કલાકારોના કાફલાએ પી.એમ. મોદીના જીવનના વિવિધ પ્રસંગોના નાટય રૂપાંતર સાથે દેશ ભકતીના ગીતો, દિલધડક સ્ટંટ , ડાન્સ રજુ કર્યા હતા.
લેસર શો ઉપરાંત 100 જેટલા ડ્રોન સાથેના ડ્રોન શોએ પણ જબરૂ આકર્ષણ જમાવ્યુ હતુ. ગઇકાલે એશિયા કપમાં ભારત-પાકિસ્તાનનો મેચ હોવા છતાં હજારો લોકો ‘નમોત્સવ’ જોવા ઉમટી પડયા હતા. મેચના કારણે લોકો આવશે નહીં તેવા ડરથી આયોજકોએ શાળાઓના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં બેસાડયા હતા પરંતુ પાછળથી લોકો ઉમટી પડતા રેસકોર્ષ મેદાનમાં ગોઠવવામાં આવેલી બેઠક વ્યવસ્થા ખૂટી પડી હતી અને એન્ટ્રી સ્થળે અવ્યવસ્થા સર્જાઈ હતી, જેના કારણે લોકોએ દેકારો મચાવ્યો હતો. એકંદરે રાજકોટવાસીઓને કંકઇ નવો જ પ્રયોગ જોવા મળ્યો હતો.
