20 લોકોને બચાવાયા, શિક્ષિકા સહિત 5ને ઈજા
પાકિસ્તાનના લાહોરમાં નિર્માણાધીન ખાનગી ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી થતા ઓછામાં ઓછા 14 શાળાના બાળકોના મોત થયા છે, જ્યારે પાંચ અન્ય લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઘટના મંગળવારે લાહોરના કાહના વિસ્તારના ઈદગાહ વિસ્તારમાં બની હતી. છત તૂટી પડતાં સાત થી 13 વર્ષના બાળકો વર્ગખંડમાં બેઠા હતા, જેના કારણે તેઓ કાટમાળ નીચે ફસાઈ ગયા. ઘટના પછી તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી, અને 20 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોમાં એક મહિલા શિક્ષિકાનો પણ સમાવેશ થાય છે.
લાહોરના કમિશનર મરિયમ ખાને 14 લોકોના મોતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતના સંદર્ભમાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે તેઓ ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરી રહ્યા છે. આ ઇમારત ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં આવેલી હતી.
લાહોરના ડીઆઈજી ઓપરેશન્સ ફૈઝલ કામરાને જણાવ્યું હતું કે કાટમાળમાંથી 14 મૃતદેહો મળી આવ્યા છે. કામરાને સમજાવ્યું હતું કે ટ્યુશન સેન્ટર જ્યાં હતું તે ઇમારતનો એક ભાગ બાંધકામ હેઠળ હતો. છત પડી ત્યારે કામદારો હજુ પણ ત્યાં કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “ઇમારતનો એક ભાગ બાંધકામ હેઠળ હતો, અને છત પડી ત્યારે કામદારો કામ કરી રહ્યા હતા. અમે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે.”
