ભાવનગરમાં રોકાણના નામે 114 રોકાણકારો સાથે 3.41 કરોડની ઠગાઇ

ભાવનગરમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપી કરોડો રૂૂપિયાની છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના રિંગરોડ પાસે નારાયણ સોસાયટીમાં રહેતા બન્ને ભાઈએ સોશિયલ…

ભાવનગરમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપી કરોડો રૂૂપિયાની છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના રિંગરોડ પાસે નારાયણ સોસાયટીમાં રહેતા બન્ને ભાઈએ સોશિયલ મીડિયા પર ટીવી ખરીદી અને રોકાણ સામે ઊંચું વળતર આપવાની સ્કીમો બતાવી મદદનીશ શિક્ષક સહિત 114 રોકાણકારો પાસેથી ₹3.41 કરોડથી વધુની રકમ ઉઘરાવ્યા બાદ બન્ને ભાઈ ઓફિસ અને મકાન બંધ કરી રફુચક્કર થઈ ગઈ હતા. જે સમગ્ર મામલે શિક્ષકે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં બન્ને ભાઈ સામે ફરિયાદ દાખલ કરાવી છે.

મળતી વિગતો અનુસાર, શહેરના ભરતનગર શ્રીનાથજી નગર 2માં રહેતા અને બુધેલ કુમાર શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રભાઈ જયપ્રકાશભાઈ ત્રિવેદીએ (ઉંમર 44) ઘોઘારોડ પોલીસ મથકમાં હરદીપસિંહ ભગિરથસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ભગિરથસિંહ ગોહિલ(રહે.બન્ને 1516 નારાયણ સોસાયટી, ભાવનગર) સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ અનુસાર 29 નવેમ્બર, 2020ના રોજ સોશિયલ મીડિયામાં આરંભ ઈન્ડીયા નામના ટી.વી.ની ખરીદી કરો અને 36 મહીનામાં હપ્તે-હપ્તે ટી.વી.ની ખરીદીની રકમ પાછી મળી જશે એ રીતેની જાહેરાત જોઈ હતી.

જે બાદ બીજા દિવસે શહેરના ઘોઘાસર્કલ ગોવર્ધન પ્લાઝા દુકાન 7માં તપાસ કરતા આરંભ ઈન્ડીયાના પ્રોપરાઈટર હરદીપસિંહ ગોહીલ તેમજ તેનો ભાઈ બ્રિજરાજસિંહ ગોહિલ સહિત અન્ય 113 રોકાણકારોને તેના ટી.વી. તેમજ ઈલેકટ્રોનિક્સ આઈટમોના એસેમ્બીંગ તેમજ ઘર વપરાશની ચીજવસ્તુના પ્રોડક્શનના વ્યવસાયમાં નાણાનું રોકાણ કરવાથી સારૂૂ એવુ વળતર આપવામાં આવશે તેવો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. એટલું જ નહીં અલગ-અલગ સ્કીમ બન્ને ભાઈએ સમજાવી વળતરનું વચન આપી 4 ટકા મુદ્દલ અને 4 ટકા વ્યાજ 25 માસની મુદત માટે તેમજ રોકાણ પર માસિક 5 ટકા વ્યાજ આપવાની સ્કીમો અમલમાં મુકી હતી. એ સાથે જ બન્ને ભાઈએ શરૂૂઆતમાં બે-ત્રણ મહિના વળતર પેટેની રકમ ફરિયાદીને ₹ 47 લાખના રોકાણ સામે ₹ 3.45 લાખ આપ્યા હતા.

બાકી રહેતી મુદ્દલ રકમ ₹ 43,55,000 તેમજ અન્ય 113 રોકાણકારોનું પણ મોટું વળતર આપવાની લાલચ આપી અલગ-અલગ સ્કીમમાં રોકાણકારોના કુલ ₹ 2,98,11,900નું રોકાણ કરાવીને બન્ને ભાઈઓએ આર્થીક લાભ મેળવી પરત ન આપ્યા હતા. એટલે કે 3.41 કરોડ રૂૂપિયાનો વિશ્વાસઘાત કરીને એપ્રિલ 2021માં ઓફિસ અને મકાન બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા. ત્યારે ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસે હરદીપસિંહ ગોહિલ અને બ્રિજરાજસિંહ ગોહિલ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *