વેરાવળમાં કલેક્ટર નિવાસ સ્થાન નજીક એક યુવકે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે સમયસૂચકતા દાખવીને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર પંથકના ગોહિલની ખાણ ગામના મનુભાઈ રામભાઈ પરમાર નામના યુવકે આ પગલું ભર્યું હતું. તેમણે પૂર્વ સરપંચ ભીખા કાળા ગોહિલ અને તેમની પત્ની હંસાબેન વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી.
આ ફરિયાદમાં 15 વર્ષના શાસનકાળ દરમ્યાન થયેલા કથિત ભ્રષ્ટાચાર અને ઉચાપતની તપાસની માગણી કરવામાં આવી હતી. યુવકે આરોપ મૂક્યો હતો કે સરપંચે નિયમ વિરુદ્ધ ત્રણ માળથી વધુના બાંધકામની પરવાનગી લાખો રૂૂપિયાની લાંચ લઈને આપી હતી. આ અંગે બેનામી સંપત્તિની તપાસની માગણી પણ કરવામાં આવી હતી.
યુવકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને 7 એપ્રિલ 2025 ના રોજ બપોરે 11 વાગ્યે આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.
આ દરમિયાન કોડીનારથી આવેલા 7 થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી હતી. જડબેસલાક પોલીસ બંદોબસ્ત હોવા છતાં યુવક કલેક્ટર બંગલા નજીક પહોંચી ગયો હતો. પોલીસે તેને પકડી લઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. યુવક વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
