શાપરમાં પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પી લેતા સારવારમાં ખસેડાઇ
વિસાવદરના લીમધરા ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. વિસાવદર તાલુકાના લીમધરા ગામે રહેતા સાગર દિનેશભાઈ ડાભી નામનો 19 વર્ષનો યુવાન સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સાગર ડાભી ત્રણ બહેનોનો એકનો એક ભાઈ છે અને શાપરમાં કામ કરે છે. ત્રણ દિવસ પૂર્વે જ ઘરે આવ્યો હતો અને કોઈ અગમ્ય કારણસર એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં શાપરમાં આવેલ પટેલ સમાજની વાડી પાછળ રહેતા ચંદ્રિકાબેન બાબુભાઈ પરમાર નામની 30 વર્ષની પરિણીતા સવારે સાડા દસ વાગ્યાના રસ્તામાં શીતળા માતાજીના મંદિર નજીક આવેલ રાજેશ્રી મેટલ નામના કારખાનામાં હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
