જાણીતા કલાકાર માયાભાઇ આહિરની ગતરાત્રે કડી તાલુકાના ઝુલાસણા ખાતેના એક કાર્યક્રમમાં તબિયત લથડતા સારવાર માટે અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, સવારે ખૂદ માયાભાઇએ એક વીડિયો દ્વારા તેની તબિયત ટનાટન હોવાના સમાચાર આપ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, કોઇએ ચિંતા કરવાની જરૂર નથી હુ રેડી છું
કડી તાલુકાના ઝુલાસણ ગામે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિભાઈ ડો.પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનો ભવ્ય લોકાર્પણ-ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ દાતાઓનો સન્માન સમારોહ બુધવારે યોજાનાર છે. જે દરમિયાન રવિવારે અને સોમવારે ભવ્ય લોક ડાયરો તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સોમવારે રાત્રિ દરમિયાન માયાભાઈ આહીર સહિતના કલાકારોની ઉપસ્થિતિમાં ભવ્ય લોક ડાયરો યોજાયો હતો.
માયાભાઈ આહીર સ્ટેજ ઉપર ચડતાની સાથે જ તેમની તબિયત લથડી હતી. જ્યાં માયાભાઈ આહીરની તબિયત ડાયરા પહેલાં જ લથડતા આયોજકો દ્વારા પ્રોગ્રામ કરવાની ના પાડવામાં આવી હતી. તેમ છતાં ચાહકો માટે સ્તુતી ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ ઉપરથી ડાયરો ચાલુ કર્યો હતો અને અચાનક જ તબિયત લથડતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ચાલુ ડાયરામાં તેઓએ કહ્યું હતું કે, મારી તબિયત જિંદગીમાં પહેલીવાર બગડી છે જે માટે આપ બધાની માફી માગુ છું. મારો કોઈ જ એવો ઇરાદો નથી કે હું અહીંયાથી નીકળી શકું, હું અહીંયાથી આપ બધાને અને દાતાઓને ખૂબ ખૂબ પ્રણામ કરું છું, તમામ વડીલોને પ્રણામ કરું છું, અહીંયા આગળ હવે રાસ ગરબા બધા રમજો અને તમામની હું ક્ષમા માગું છું, આઈ એમ વેરી વેરી સોરી, મને ક્ષમા કરજો.
