ગુજરાતમાં કોરોનાની નવી લહેર ધીરે ધીરે પંજો પ્રસરાવી રહી હોય તેમ અમદાવાદમાં આજે એક જ દિવસમાં 60 નવા પ્રોઝીટીવ કેસ આવતાં સરકારની ચિંતા વધી ગઈ છે.
ગઈકાલે સોમવારે અમદાવાદમાં કોરોનાના 50 કેસ નોંધાયા હતાં અને કોરોનાના નવા વેરિઅન્ટેથી ગુજરાતમાં પ્રથમ વખત સગર્ભા યુવતી સહિત બે મહિલાના મોત નિપજ્યા હતાં. ત્યારબાદ આજે વધુ 60 નવા કેસ નોંધાતા ચિંતાની લાગણી જન્મી છે. જ્યારે રાજકોટમાં પણ આજે સતત ત્રીજા દિવસે 8 નવા પોઝીટીવ કેસ આવ્યા છે.
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વકરી રહ્યો છે. હાલ શરૂૂ થયેલી કોરોનાની ચોથી લહેરમાં કોરોનાએ ગુજરાતમાં 2 લોકોનો જીવ લીધો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં કુલ કોરોનાના કેસ 400 નજીક પહોંચ્યા છે. આજે 24 કલાકમાં કોરોનાના નવા 95 કેસ નોંધાયા છે. તો હાલ કોરોનાના કુલ 375 એક્ટિવ કેસ છે. કુલ 397 કેસ સામે 36 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.
અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે. આ સાથે સમગ્ર શહેરમાં કોરોનાના 330 કેસ છે. જેમાંથી 241 એક્ટિવ કેસ છે. શહેરના પશ્વિમ વિસ્તારમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. વિસ્તારોની વાત કરીએ તો, બોપલ, ઘુમા, સેટેલાઈટ, જોધપુર, મોટેરા, ચાંદખેડા, સરખેજ, ચાંદલોડિયા જેવા વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે.
રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટના ન્યુ રીંગરોડ સુધી કોરોના પ્રસર્યો છે. આજે કોરોનાના વધુ 8 કેસ મળી આવ્યા છે. રાજકોટમાં હાલ કોરોનાના કુલ 40 એક્ટિવ કેસ જોવા મળ્યા છે. જેથી આરોગ્યતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
