શહેરના મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં પતિના વિયોગમાં પત્નીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જયારે બીજા બનાવમાં વિરડા વાજડીમાં રહેતા અને સ્કૂલવાન ચલાવતા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ હતું.
જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે રહેતા વર્ષાબેન નંદરામ મેસવાણી (ઉ.વ.55) નામના પ્રૌઢાએ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકને સંતાનમાં એક પુત્ર હોવાનુ અને પતિનુ અવસાન થયુ હોય તેના વિયોગમાં ગુમસુમ રહેતા હોય જેના કારણે આ પગલું ભરી લીધાનુ જાણવા મળ્યુ છે. આ બનાવથી એકના એક પુત્રએ પિતા બાદ માતાની પણ છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જયારે બીજા બનાવમાં કાલાવડ રોડ પર આવેલા વિરડા વાજડી ગામે રહેતા સુજલ અરવિંદભાઇ પરમાર (ઉ.વ.28)નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે એંગલમાં પેન્ટ બાંધી ગળફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આ અંગે યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક સુજલ બે ભાઇ એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. તે સ્કૂલવાન ચલાવતો હતો. તેણે આ પગલું શા માટે ભરી લીધુ ? તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
