અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે આજે સોનાનો સૂરજ ઊગ્યો છે. વર્ષોથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે સાવરકુંડલાની જીવાદોરી સમાન નાવલી નાની સિંચાઈ યોજના એટલે કે સુખનેરા ડેમમાં મહત્વાકાંક્ષી સૌની યોજના’ (SAUNI Yojana) અંતર્ગત નર્મદા નદીના પવિત્ર જળ પધરાવવામાં આવ્યા છે. આ ઐતિહાસિક અને હર્ષોલ્લાસના પ્રસંગે સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા પૂજન-અર્ચન સાથે મા નર્મદાના નીરના નીરખામણા અને વધામણા કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગ દ્વારા ‘સૌની યોજના’ લિંક-4 ફેઝ-2 ના કામો અન્વયે સાવરકુંડલાના સુખનેરા ડેમ સુધી પાઇપલાઇન દ્વારા નર્મદાના પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. ડેમમાં પાણી છોડાતા જ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો, અગ્રણીઓ અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ડેમ સાઇટ પર ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત જનમેદનીએ હર્ષના નારાઓ સાથે વધામણાના પ્રસંગને વધાવી લીધો હતો.
ધારાસભ્ય મહેશ કશવાલાએ જણાવેલ કે, સુખનેરા ડેમ (નાવલી નાની સિંચાઈ) નર્મદાના નીરથી લાંબાગાળાના ફાયદાઓ થશે ડેમમાં પાણીનો સંગ્રહ થવાથી આસપાસના કૂવા, બોર અને વાવના પાણીના તળ ઊંચા આવશે.સ્થાનિક ખેડૂતો શિયાળુ અને ઉનાળુ પાક પણ આસાનીથી લઈ શકશે, જેથી આર્થિક સધ્ધરતા વધશે.વિસ્તારના પશુપાલકોને પશુઓ માટે પીવાના પાણી અને લીલા ઘાસચારાની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ વધામણાના કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પદાધિકારીઓ, સ્થાનિક સહકારી આગેવાનો, તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારો, જળ સંપત્તિ વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ધરતીપુત્રો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ ‘નર્મદે સર્વદે’ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
