પાક.-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું, 200નાં મોત

અફઘાને પાકની 19 ચોકીઓ કબજે કર્યા પછી મોડી રાતે પાક. વાયુસેનાનું વિનાશક તાંડવ: તાલિબાને પાક. ફાઇટરજેટ તોડી પાડયું, પાકે. સત્તાવાર યુધ્ધની કરી ઘોષણા પાકિસ્તાન અને…

અફઘાને પાકની 19 ચોકીઓ કબજે કર્યા પછી મોડી રાતે પાક. વાયુસેનાનું વિનાશક તાંડવ: તાલિબાને પાક. ફાઇટરજેટ તોડી પાડયું, પાકે. સત્તાવાર યુધ્ધની કરી ઘોષણા

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલતા તનાવે આજે ખુલ્લી જંગનું સ્વરૂૂપ લીધું છે. પાકિસ્તાની વાયુસેનાએ અફઘાન રાજધાની કાબુલ, કંધાર અને પક્તિયા પ્રાંતમાં સતત બે કલાક સુધી એરસ્ટ્રાઇક કર્યા હતા. જેટ વિમાનોની ગર્જના અને વિસ્ફોટોના અવાજે કાબુલ અને કંધારના વાતાવરણને ભયાનક બનાવી દીધું હતું. આ હુમલાના જવાબમાં તાલિબાને એક પાકિસ્તાની ફાઈટર જેટને અફઘાન આકાશમાં તોડી પાડયું હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે તાલિબાન સામે ‘ખુલ્લી જંગ’નું એલાન કરતાં કહ્યું કે કાબુલ સામે અમે ખુલ્લી જંગ લડીશું.

ઘટનાક્રમની વિગતો અનુસાર, 26 ફેબ્રુઆરીની રાતે 8 વાગ્યે તાલિબાની સેનાએ પાકિસ્તાની સરહદી પોસ્ટ્સ પર મોટા પાયે આક્રમક અભિયાન શરૂૂ કર્યું હતું. અફઘાન રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચાર કલાકની લડાઈમાં તાલિબાની દળોએ પાકિસ્તાનના બે સૈન્ય આધાર અને 19 સરહદી પોસ્ટ્સ પર કબજો જમાવી લીધો છે. પક્તિકા, પક્તિયા, ખોસ્ત, નંગરહાર, કુનાર અને નુરિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સૈનિકોને પાછા ધકેલી દેવામાં આવ્યા છે. તાલિબાનના દાવા પ્રમાણે આ લડાઈમાં 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને અનેકને પકડી પાડવામાં આવ્યા છે.

પાકિસ્તાન તરફથી આનો તીવ્ર જવાબ આપવામાં આવ્યો. પાકિસ્તાની માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તારરે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે અફઘાન તાલિબાનના સંરક્ષણ સ્થાપનાઓને કાબુલ, પક્તિયા અને કંધારમાં નિશાન બનાવવામાં આવ્યા છે. આ એરસ્ટ્રાઇક દરમિયાન કાબુલમાં બે કલાક સુધી જેટ વિમાનોની અવાજ અને વિસ્ફોટો સંભળાયા હતા. કંધારમાં પણ તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુન્દઝાદાના ગઢમાં જેટ વિમાનોની હાજરીની પુષ્ટિ થઈ છે.

મૃત્યુઆંક પર બંને પક્ષે વિરોધાભાસી દાવા કરવામાં આવ્યા છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે પાકિસ્તાની હુમલામાં કોઈ હાનિ નથી થઈ, જ્યારે તાલિબાનના દાવા પ્રમાણે 18 લોકો માર્યા ગયા છે. પાકિસ્તાન તરફથી દાવો છે કે ‘ગુઝબ-એ-હક’ નામના ઓપરેશનમાં 130થી વધુ તાલિબાની લડાકુઓ માર્યા ગયા છે અને માત્ર બે પાકિસ્તાની સૈનિકો શહીદ થયા છે. અફઘાન તરફથી આ દાવાઓને નકારી કાઢવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે તાજેતરના પાકિસ્તાની હુમલામાં ઓછામાં ઓછા 13 નાગરિકો માર્યા ગયા છે. તોરખમ સરહદી વિસ્તારમાં એક શરણાર્થી કેમ્પ પર મોર્ટાર હુમલામાં સાત લોકો ઘાયલ થયા છે, જેમાં એક મહિલાની હાલત ગંભીર છે.

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આ ઘટનાને તાલિબાનની ખુલ્લી આક્રમકતાનો યોગ્ય જવાબ ગણાવ્યો છે. પાકિસ્તાનના આંતરિક મંત્રી મોહસિન નકવીએ કહ્યું કે અમારી સશસ્ત્ર દળોએ તાલિબાનની આક્રમકતાને યોગ્ય જવાબ આપ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે દેશની સેનાની પ્રશંસા કરતાં કહ્યું, અમારી સેના કોઈપણ આક્રમક શક્તિને ઝડપથી કચરી નાખવાની ક્ષમતા ધરાવે છે અને આખો દેશ તેમની પાછળ ઊભો છે. પાકિસ્તાની વિદેશ મંત્રી ઇશાક દારે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરીને પ્રાદેશિક સુરક્ષા પર ચર્ચા કરી છે.

તાલિબાન તરફથી પણ મજબૂત જવાબી કાર્યવાહીની તૈયારી દર્શાવવામાં આવી છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જોરદાર પલટવારની ચેતવણી આપી છે. અફઘાન સેનાના વડા કારી ફસીહુદ્દીન ફિતરતે વ્યક્તિગત રીતે યુદ્ધની કમાન સંભાળી લીધી છે, જેનાથી તાલિબાની સૈનિકોમાં મનોબળ વધ્યું છે.
આ તનાવનું મૂળ 1893માં બ્રિટિશ વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયેલી ‘ડ્યુરન્ડ લાઇન’માં છે. આ 2,640 કિલોમીટર લાંબી સરહદ પશ્તુન આદિવાસીઓને વહેંચી નાખે છે. અફઘાનિસ્તાને ક્યારેય આ સરહદને સંપૂર્ણપણે સ્વીકારી નથી અને ‘પશ્તુનિસ્તાન’ની માંગ કરતું રહ્યું છે. તાલિબાન પણ સરહદી વાડ અને ડ્યુરન્ડ લાઇનને માન્યતા આપતું નથી. ઓક્ટોબર 2025માં થયેલા સરહદી સંઘર્ષમાં 70થી વધુ લોકો માર્યા ગયા હતા અને અનેક પોસ્ટ્સ બંધ કરવામાં આવી હતી.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બંને પક્ષોને નાગરિકોનું રક્ષણ કરવા અને સંવાદ દ્વારા વિવાદ ઉકેલવાની અપીલ કરી છે. તેમણે પ્રાદેશિક અસ્થિરતાની ચેતવણી આપી છે. કતારના માધ્યમથી ચાલતી શાંતિ વાટાઘાટો પણ જોખમમાં મુકાઈ છે. આ ઘટના દક્ષિણ એશિયાની સુરક્ષા માટે મોટું જોખમ છે. આંતરરાષ્ટ્રીય સમુદાય આ તનાવને નજીકથી જોઈ રહ્યો છે. જો સંવાદનો માર્ગ અપનાવવામાં ન આવે તો આ યુદ્ધ વધુ વિસ્તાર પામી શકે છે અને પ્રાદેશિક શાંતિને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *