મધરાત્રે નાટકીય વળાંક, કેન્દ્રીયમંત્રી નડ્ડાના હસ્તે પારણા કરી લીધા પછી જણાવ્યું કોઇનું રાજીનામું મહત્વનો મુદ્દો નથી
સીજેપીના દીપકેની શિક્ષણ પ્રધાનના રાજીનામા સુધી આંદોલન ચાલુ રાખવા જાહેરાત
દેશભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને નીટ પેપર લીકના વિરોધમાં આંદોલન કરી રહેલા જાણીતા પર્યાવરણવિદ્ અને એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે ગુરુવારે મધ્ય રાત્રિ બાદ પોતાના 26 દિવસ લાંબા ઉપવાસનો અંત આણ્યો છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડો. જિતેન્દ્ર સિંહની હાજરીમાં તેમણે પોતાના અનશન સમેટ્યા હતા.
હોસ્પિટલના રૂૂમમાંથી સામે આવેલા દ્રશ્યોમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે વાંગચુકને પથારીમાં બેઠા થવામાં મદદ કરી હતી, જ્યારે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ તેમને કપમાંથી પાણી પીવડાવીને ઉપવાસ છોડાવ્યા હતા. આ ક્ષણે વાંગચુકના પત્ની ગીતાંજલિ અંગમો પણ તેમની સાથે હાજર રહ્યા હતા. હું મારા ઉપવાસ પૂરા કરીને ખૂબ જ આભારી અને ખુશ છું. તમારો આભાર. ગીતાંજલિ હંમેશા મારી પડખે ઊભી રહી છે. હું તેનો આભાર માનવાને બદલે મારી લાગણીઓ વ્યક્ત કરવા માંગુ છું. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય ચર્ચા બાદ મંત્રીઓ જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ વાંગચુકને મળવા પહોંચ્યા હતા.
ઉપવાસ તોડ્યા બાદ તુરંત જ સોનમ વાંગચુકે એકસ (ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમણે લખ્યું કે કેન્દ્ર સરકાર સાથેની ’લાંબી વાટાઘાટો’ અને દેશમાં આંદોલન હિંસક સ્વરૂૂપ ન લે તે હેતુથી તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે જુદા જુદા રાજકીય પક્ષોના 65 જેટલા સાંસદોએ તેમની મુલાકાત લીધી હતી.
અથવા તો ઉપવાસ છોડવા માટે અપીલ કરી હતી. ઘણી શરતો પર લાંબી વાટાઘાટો થયા પછી અને દેશમાં સંભવિત હિંસાને ધ્યાનમાં રાખીને મેં ઉપવાસ તોડ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે તેમને સોમવારે સંસદ કુચમાં ભાગ લેનારાઓ સામે કોઇ એફઆઇઆર અથવા કાનુની કાર્યવાહી નહીં કરવાની, નીટ પરીક્ષા સંબંધી મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓને વળતર આપવાની તથા શિક્ષણ-પરીક્ષા વ્યવસ્થામાં જવાબદેહી નકકી કરવા બાબતે સંસદમાં ચર્ચા કરવાની ત્રણ ખાતરીઓ લેખીતમાં આપી હતી. શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ બાબતે તેમણે કહ્યું હતું કે આ બાબતે કોઇ ખાતરી આપવામાં આવી નથી. પરંતુ મારા માટે એ ખુબ મહત્વનો મુદ્દો નથી. હું ટૂંક સમયમાં એક અલગ વિડિયોમાં આ શરતો વિશે વિગતવાર સમજાવીશ. તેમણે પોતાના સમર્થકોને સતર્ક રહેવા અને આંદોલનમાં કોઈપણ પ્રકારની હિંસા ન થવા દેવા વિનંતી કરી હતી.
નીટ પેપર લીક અને પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ સામે જંતર મંતર પર વિદ્યાર્થીઓ દ્વારા શરૂૂ કરાયેલા આંદોલનના સમર્થનમાં સોનમ વાંગચુકે 28 જૂનથી અનિશ્ચિત મુદતના ઉપવાસ શરૂૂ કર્યા હતા. આ આંદોલનનું નેતૃત્વ કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ ક્ષેત્રે મોટા સુધારા, પરીક્ષા પ્રક્રિયામાં જવાબદારી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહી છે.
અનશન પૂરા કરતા થોડા કલાકો પહેલા જ વાંગચુકે સોશિયલ મીડિયા પર આશંકા વ્યક્ત કરી હતી કે કેટલાક “અસામાજિક તત્વો” શાંતિપૂર્ણ આંદોલનને હિંસક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેથી તેમણે શાંતિ જાળવવાની ભારપૂર્વક હાકલ કરી હતી.
ખોયેલું ‘વજન’ પાછું મેળવો: પારણા પછી મોદીની વાંગચૂકને શુભેચ્છા
વાંગચુકે ભુખ હડતાલ સમાપ્ત કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાંગચુકને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી અને તેમને ડોકટરોની સલાહનું પાલન કરવા વિનંતી કરી. “હું સોનમજીને વિનંતી કરું છું કે તેઓ ડોક્ટરોની સલાહ મુજબ તેમની દિનચર્યાનું પાલન કરે અને શક્ય તેટલી વહેલી તકે તેમનું જૂનું વજન પાછું મેળવે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સોનમજી સ્વસ્થ રહે,” પ્રધાનમંત્રીએ એકસ પર એક પોસ્ટમાં કહ્યું.
